(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્વોના હુમલાને કારણે કૂદી પડતા મોતને ભેટેલા ચીખલીતાલુકાના તલાવચોરા મિરલ હળપતિના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
ચીખલીના તલાવચોરા ગામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલની અધ્યક્ષતામાં રવિવારએ બેઠક મળી હતી. જેમાં તલાવચોરા ગામના આદિવાસી સમાજના મિરલ હળપતિના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી અપાઈ હતી. અગાઉ પણ આદિવાસી સમાજએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે મળી બીલીમોરા પોલીસ મથકે દેખાવ કરતા આરોપીઓ સામે 304 અને 307 જેવી કલમો ઉમેરવા પડી હતી. તે સાથે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમ છતાં પરિવારને પૂરતો ન્યાય મળ્યો નથી. જેને કારણે ન્યાય યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્ય પરીમલભાઈ, માજી તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ અને શુભાષભાઈ, અશોકભાઈ તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજજનો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ધારાસભ્ય અનંત પટેલએ જણાવ્યું હતું કે, મારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો અનંત પટેલ આદિવાસી સમાજને ન્યાય અપાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે અને મારા આદિવાસી સમાજને ન્યાય અપાવીને જ જંપીશ.