-
લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પોર્ટલ ઉપર બેરોજગારોની અરજીનો તા.12મી ડિસેમ્બર સુધી થનારો સ્વીકાર
-
રોજગાર મેળો બેરોજગારો અને નોકરીદાતા ઉદ્યોગો, સંસ્થા તથા એકમો માટે આશીર્વાદરૂપ સાબિત થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આગામી તારીખ 22મી ડિસેમ્બરના રોજ નાની દમણ કોળી પટેલ સમાજના હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળોદમણ જિલ્લાના બેરોજગારો માટે પોતાનો યોગ્ય રોજગાર મેળવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે.
નોકરીવાંચ્છુ અને નોકરીદાતા સંસ્થા વચ્ચે સેતુ બની સરળતાથી બંનેનો સમન્વય થઈ શકે એ હેતુથી પ્રશાસનના લેબર વિભાગ દ્વારા રોજગાર મેળાના હેતુ માટે એક પોર્ટલ પણ બનાવવામાં આવેલ છે.
તા.12મી ડિસેમ્બરના રોજ અથવા તે પહેલા દરેક નોકરી ઈચ્છુક ઉમેદવારોએ તેમની અરજીમાં જરૂરી માહિતી, શૈક્ષણિક તથા અન્ય લાયકાત વગેરે દમણના લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગની વેબસાઈટ ઉપર લીંક https://www.labourdnhdd.in/job/login.php માં ઈલેક્ટ્રોનિકલી સબમિટ કરવાની રહેશે.
દરેક નોકરીદાતા દમણ જિલ્લાના ઉદ્યોગો, સંગઠનો, હોટેલો, સંસ્થા તથા એકમોને વિનંતી કરવામાં આવે છે કે, તેમને ત્યાં ઉપલબ્ધ વેકેન્સીઓની વિગતો ઉપરોક્ત પોર્ટલ પર તા.12-12-2022 સુધી હકારાત્મક રીતે અપલોડ કરવામાં આવે.
દમણના સંયુક્ત લેબર કમિશ્નર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લાના તમામ બેરોજગાર વ્યક્તિઓની તથા નોકરીદાતા ઉદ્યોગો, સંગઠનો, હોટેલો, સંસ્થા તથા એકમોને રોજગાર મેળાનો લાભ લેવા માટે તાકીદ કરી છે.