(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ,તા.12: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકા સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા તિરંગાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. જેની કડીમાં આજે દમણ પોલીસ વિભાગ દ્વારા આકર્ષક અને શિસ્તબદ્ધ તિરંગા રેલીનું આયોજન કર્યું હતુંજેને દમણના એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ડી.આઈ.જી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાના માર્ગદર્શન અને એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયાની આગેવાની હેઠળ દમણ પોલીસ વિભાગ દ્વારા આજે તિરંગા રેલી કાઢી હતી. જે જમ્પોર બીચથી મોટી દમણ લાઈટ હાઉસ સુધી અને તિરંગા યાત્રા રેલી કાઢવામાં આવી હતી. દમણ પોલીસ વિભાગ દ્વારા આયોજીત તિરંગા રેલીમાં જિલ્લાના પાંચેય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ અવસરે ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન હેઠળ પોલીસ અધિકારીઓએ લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજફરકાવવાની અપીલ કરી હતી અને ધ્વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. તિરંગા રેલી દરમિયાન દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા હતા.