ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત-5 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી અને સામાજીક શોષણ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે વી.આઈ.એ. હોલ સુરત રેન્જ આઈજી પિયુષ પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની વિશિષ્ઠ ઉપસ્થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વી.આઈ.એ.ના માનદ સેક્રેટરી સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ સહિત આગેવાન ઉદ્યોગપતિ, સામાજીક, રાજકીય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઈ.જી. પિયુષ પટેલે જણાવ્યું હતું કે, વ્યાજખોરી સમાજનું દુષણ છે. જેને ડામવા માટે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 કાર્યરત છે. શોષિત લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. લોકો આગળ આવે તો જ સાચા અર્થમાં આ જનસંપર્ક કાર્યક્રમ સફળલેખાશે. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અન્ય પ્રશ્નો પણ લોકોએ રજૂ કર્યા હતા.