(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : ‘પ્રેરણા એક અનુભવાત્મક જ્ઞાન’ કાર્યક્રમ અંતર્ગત દાનહના રખોલી સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીની કુમારી ઈશા પટેલ અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી શ્રી નિહિત રાકેશકુમાર કૈસકરને નવી દિલ્હી ખાતે આગામી 15મી ઓગસ્ટના રોજ આયોજિત થનારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મળતા શાળા પરિવાર સહિત સમગ્ર દાનહમાં ખુશી છવાઈ છે. કુમારી ઈશા પટેલ અને શ્રી નિહિત રાકેશકુમાર કૈસકર બંને વિદ્યાર્થીઓ ગત્ જાન્યુઆરી માહિનામાં પાંચ દિવસ માટે ગુજરાતના વડનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે શાળામાં ભણ્યા હતા તે શાળામાં રહી વિવિધ નવ વિષયો પર અનુભવાત્મક જ્ઞાન કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી સહભાગી થઈ પ્રદેશનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેઓની શાળાના આચાર્ય શ્રીમતી એ.એમ.શૈયજાતેમજ રાહબર શિક્ષિકા શ્રીમતી રશ્મિબેન રોહિત દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે નવોદય વિદ્યાલય સીલી દ્વારા સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. હવે આ બંને વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આ વિદ્યાર્થીઓને સહાયક શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્લા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેન્દ્ર મોહિલેએ જરૂરી માર્ગદર્શન આપી શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી.