સુપ્રિમ કોર્ટનો આરક્ષણ વર્ગીકરણ ક્રિમીલેયરના ચૂકાદાના વિરોધમાં ઠરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: તાજેતરમાં 1 ઓગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા આરક્ષણ વર્ગીકરણ ક્રિમીલેયરના અપાયેલા ચૂકાદાના પ્રત્યાઘાત ભારત ભરમાં પડયા છે. જેના વિરોધમાં આજે તા.21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા આપવામાં આવ્યું હતું. તેનાસમર્થનમાં વાપીમાં રેલી યોજી સુપ્રિમ કોર્ટના ચૂકાદાને અન્યાયી, ગેરબંધારણીય ગણાવાયો હતો.
વાપીના સામાજીક કાર્યકર ભીમરાવ કટકેની આગેવાની હેઠળ આજે ચણોદ ત્રીમૂર્તિ સર્કલ પાસે સેંકડો એસ.સી., એસ.ટી.ના કાર્યકરો અને સમુદાય એકત્ર થયો હતો. સુપ્રિમ કોર્ટના આરક્ષણ અંગેના ચુકાદાને ભીમરાવ કટકેએ ગેરબંધારણીય ગણાવ્યો હતો. જેના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયેલું હતું. જેના સમર્થનમાં આજે ચણોદથી રેલી કાઢીને વિરોધ કરી રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ નિર્ણયને રદ્દ નહિ કરવામાં આવે તો દેશવ્યાપી આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. અલબત્ત વાપીમાં ભારત બંધની કોઈ અસર જોવા મળી નહોતી.