(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: ચીખલી નજીકના સમરોલી સ્થિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળાની રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકતના પંદર દિવસ કરતા પણ વધુ સમય વીતવા છતાં 14-માસથી બંધ પડેલ ઓરડાનું બાંધકામ શરૂ ન થતા એક અઠવાડિયામાં બાંધકામ શરૂ થવાની મંત્રીની ખાતરીનું સુરસુરીયું થઈ જવા પામ્યું છે. જાહેરમાં આપેલ મંત્રીની ખાતરી પણ પોકળ પુરવાર થતી હોય ત્યારે લોકોએ અપેક્ષા કોના પર રાખવી તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યો છે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં આઠ ધોરણમાં 160-ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને શાળામાં ઓરડાના અભાવે છેલ્લા 14-માસથી બાળકોને પાળી પધ્ધતિમાં પતરાના ખુલ્લા શેડમાં અને પ્રાર્થના હોલમાં શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શાળામાં અંદાજે સિતેરેક લાખ રૂપિયાના ખર્ચે સાત જેટલા ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં નકરી વેઠ ઉતારાતા સ્થાનિકોએ મે-23 માં કામ બંધ કરાવ્યુંહતું. જે આજદિન સુધી ચાલુ થયું નથી.
આ દરમ્યાન 10-ઓગસ્ટ-24 ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ચીખલીમાં વન મહોત્સવના કાર્યક્રમમાં પધાર્યા હતા. ત્યારે સ્થાનિકોની રજૂઆતને પગલે સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાતે જઈ મંત્રીશ્રીએ મીડિયા સમક્ષ એક અઠવાડિયામાં કામ શરૂ કરાવવાની ખાતરી આપી દિવાળી સુધીમાં બાળકો નવા ઓરડામાં બેસી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે મંત્રીની મુલાકાતના પંદર દિવસ કરતા પણ વધુ સમય વીતવા છતાં બાંધકામ શરૂ થયું નથી અને મંત્રીની ખાતરી પોકળ પુરવાર થવા પામી છે. ત્યારે ભરોસાની સરકારમાં લોકોએ ભરોસો કોના પર રાખવો તે મોટો સવાલ છે.
સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં ઓરડાના બાંધકામમાં સ્થાનિકોની ગેરરીતિની ફરિયાદ બાદ સંબંધિત તંત્ર દ્વારા કોન્ક્રીટ સહિતનાના નમૂના લેવાયા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કામ શરૂ કરવાનું રટણ જવાબદાર અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે એવી તો કેવી લેબ કે કેવું પરીક્ષણ કે જેનો રિપોર્ટ 14-14 માસ સુધી ન આવતો હોય? ગતિશીલ ગુજરાતમાં સાચી ગતિ આજ હોય તેમ લાગે છે.