સેન્ટર દ્વારા પાલઘર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સરપંચને શોધી કાઢી મહિલાના પરિવારને જાણ કરી: અસ્થિર મગજની મહિલાની વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરાવવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા પરિવારથી વિખુટી પડેલી મહારાષ્ટ્રની માનસિક રીતે અસ્થિર મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીનીકચેરી વલસાડ અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં તા.08/08/2024ના રોજ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા અજાણી મહિલાને આશ્રય માટે લાવવામાં આવતા સેન્ટરમાં હંગામી આશ્રય આપવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમને ભોજન, કપડા અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવી હતી. સેન્ટરના કમર્ચારી દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા માલૂમ પડયું કે, તેઓ પાલઘર, મહારાષ્ટ્રના વતની છે અને માનસિક રીતે અસ્વસ્થ છે તેથી મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવતા જાણવા મળ્યું કે, તેઓ માનસિક રોગથી પીડાય છે. તેથી મહિલાની સિવિલમાં સારવાર ચાલું કરાવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પાલઘર પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરી મહિલા વિશે જાણ કરતા ગામના સરપંચશ્રીનો નંબર મળતા મહિલા વિશેની માહિતી આપતા સરપંચશ્રીએ તપાસ કરી જણાવ્યું કે, આ મહિલા અમારા ગામના રહેવાસી છે અને તેમના માતા-પિતા નથી. તેઓ તેમના દાદી સાથે રહે છે. જેના આધારે પરિવારનો સંપર્ક કરતા જણાવ્યું કે, અમે તેમને જલ્દી લેવા માટે આવીશું. આખરે મહિલાને તેમનો પરિવાર સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા માટે આવતા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ માનસિકરીતે અસ્વસ્થ મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતા પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર માન્યો હતો.
-000-