રૂા. 10 લીટરના ભાવે મળતુ 350 લીટર જીવામૃત જાતે બનાવી ખેડૂતોને આપ્યું સાથે તેની પધ્ધતિ અને મહત્વ પણ સમજાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લામાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતીની પહેલ કરનાર ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના ખેડૂત હસમુખભાઈ ભંડારી પોતે તો પ્રાકૃતિક ખેતી કરી જ રહ્યા છે પરંતુ અન્ય લોકો પણ પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે શિબિર અને તાલીમ કાર્યક્રમોમાં જઈ પ્રસાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પ્રાકૃતિક ખેતીના રિલ્સ પણ બનાવી યુવા પેઢીને પણ પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપી રહ્યા છે. પ્રાકળતિક ખેતીનો વ્યાપ વધે તે માટે તેમણે નવી પહેલ કરી છે. આસપાસના ગામના લોકોને નિઃશૂલ્ક જીવામૃતનું વિતરણ કરી રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં બનાવેલું 800 લીટર જીવામૃતમાંથી 350 લીટર નગવાસ, અંકલાસ, ભીલાડ, નરોલી, ખરડપાડા અને કનાડી ગામના ખેડૂતોને ફ્રીમાં વિતરણ કર્યુછે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા કિચન ગાર્ડન બનાવવા અને જીવામૃત બનાવવાની પધ્ધતિ સમજાવી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. ખેડૂત હસમુખભાઈએ જણાવ્યું કે, પ્રાકળતિક ખેતીનો વ્યાપ વિસ્તરે તે માટે ગામે ગામના ખેડૂતોને જાગૃત કરી રહ્યો છું. જેના ભાગરૂપે જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરુ છું. બજારમાં આ જીવામૃત રૂા. 10 લીટરના ભાવે મળે છે. લોકોને નિરોગી ખોરાક મળે અને તંદુરસ્ત રહે તે જ મારૂ લક્ષ્ય છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીમાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને તેમના હરિયાળા સ્થિત પ્રાકૃતિક ખેતીના ફાર્મની પણ મુલાકાત કરી હતી.