June 17, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસઃ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ

વિવિધ પરીક્ષાના ૧૫ તેજસ્વી વિદ્યાર્થી અને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ શાળાનું પણ સન્માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦પ: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ શિક્ષક દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા તાલુકા અને જિલ્લા કક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના અબ્રામા સ્થિત સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો.
શિક્ષક દિવસની શુભકામના પાઠવતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રત્યેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો જ બાળકોના જીવનનું ઘડતર કરી હીરાના જેવી ચળકાટ આપે છે. આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસ છે. જેમની યાદમાં આ દિવસ મનાવાય છે તેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન એવુ કહેતા કે, પહેલા હું શિક્ષક છું પછી રાષ્ટ્રપતિ છું. કર્મનિષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવી દરેક બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને વલસાડ જિલ્લામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે તે માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે સન્માનિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપી જણાવ્યું કે, શિક્ષક દેશની આધાર શીલા છે. બાળકોના ઘડતર દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શિક્ષકો કરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે, આજે હું જે પણ છુ તે મારા શિક્ષકોને આભારી છું. ગુજરાત સરકારે પણ બજેટમાં શિક્ષણ માટે નોંધપાત્ર ફાળવણી કરી શિક્ષણને મહત્વ આપ્યું છે.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓએ ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હોવાનું જણાવી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વલસાડ જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહે તે માટે આહવાન કર્ય હતું.
આ ઉજવણી પ્રસંગે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -૨૦૨૪ ના ૮ વિદ્યાર્થી અને જ્ઞાન સાધના સ્કોલરશીપ – ૨૦૨૪ મેળવનાર પ્રતિભાશાળી ૭ વિદ્યાર્થી અને ધો. ૧૦ તેમજ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ સ્કૂલનું સન્માન કરાયું હતું. નવી શાળાના નામાંકન કરનાર સૌ પ્રથમ વિદ્યાર્થીને આવકાર આપવામાં આવ્યો હતો. સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શની પણ યોજાઈ હતી જેની મહાનુભાવાએ વિઝિટ પણ લીધી હતી.
આ પ્રંસગે અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીતેશ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્યા સુરેખાબેન સૈની, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજેશભાઈ બી પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના અધ્યક્ષ અજિતસિંહ ઠાકોર, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર બીપીનભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુન પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ કર્યુ હતું. જ્યારે આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોનીએ કર્યુ હતું.

જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માનિત શિક્ષકો

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વાપીના દેગામની મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ સી. ટંડેલને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી રૂ. ૧૫૦૦૦નો પુરસ્કાર, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલ, વાપી અજીતનગર પ્રાથમિક શાળાના શિક્ષક શિવકુમાર જે. સિંઘ, ઉમરગામના કલગામની નઈ તાલીમ શાળાના શિક્ષિકા છાયાકુમારી ડી. પટેલ, ઉમરગામના તલવાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા પૂનમ કે. પંચાલ, ધરમપુરના પેંણધા ગામની આંધોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાબેન આર. પટેલ અને કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાના શિક્ષિકા જિજ્ઞાબેન બી. પટેલનું પ્રમાણપત્ર, શાલ અને બેંક ખાતામાં રૂ. ૫૦૦૦ પુરસ્કારની રકમ જમા કરી સન્માન કરાયુ હતું.

Related posts

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment