સંઘપ્રદેશના નિરંતર વિકાસ માટે પ્રશાસકશ્રીના અંગત સંબંધોનો લાભ પ્રદેશને મળતો રહેવાની ધારણાં
દેશના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય કેન્દ્રિય મંત્રીઓ સાથે પ્રશાસકશ્રીએ કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે દિલ્હી ખાતે પોતાની મુલાકાત દરમિયાન વિવિધ વરિષ્ઠ નેતાઓ સાથે આત્મિય મુલાકાત કરી પ્રદેશના મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી કેટલીક અગત્યની બાબતોની ચર્ચા-વિચારણાં કરી હતી. તેમણે નવનિયુક્ત રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વિચારોની આપ-લે કરી હતી. આ કડીમાં કેન્દ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી સર્વાનંદ સોનોવાલ, શ્રી ગીરીરાજ સિંઘ તથા શ્રી જી.કિશન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકેના કાર્યકાળ દરમિયાન શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના વરિષ્ઠમંત્રીઓ સાથેના આત્મિય સંબંધોનો લાભ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ માટે અવિરત મળતો રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિરંતર વિકાસ માટે પ્રશાસકશ્રીના અંગત સંબંધોનો લાભ પ્રદેશને મળતો રહેશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.