(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે સ્થિત ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત સાપની ઓળખ અને સાપ ડંખ મારે ત્યારે શું કાળજી રાખવી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં કર્તવ્ય એન.જી.ઓ.ના મુખ્ય સ્પીકર નિપુણ પંડ્યા અને એમની ટીમ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારનું સંચાલન અને સંકલન યોગેશ હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પૃષ્ઠભૂમિમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ભિલાડના પ્રિન્સિપલશ્રી દીપક ધોબી દ્વારા માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાપની વિવિધ જાતિઓની ઓળખાણ, તેમને ઓળખવાની રીતો, અને સાંપના ડંખ બાદ રાખવાની થતી યોગ્ય કાળજી અને સારવારની પ્રક્રિયાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે તાજા સંશોધન અને એન્ટિવેનમના વિકાસ પર પણ વાતચીત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સંકટની સ્થિતિમાં સુરક્ષિત નિવારણ અને સારવાર અંગે મૂલ્યવાન માહિતી આપવામાં આવી હતી.