સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલ ચૂંટાયા બાદ પણ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નીતિ-નિયમ અને કાયદાના રાજનું સખ્તાઈથી પાલન કરવાની પરંપરામાં જરા પણ ઢીલાશ નહીં આવતાં ચૂંટણીમાં ટેકેદાર રહેલા લોકોનો મોહભંગ
સાંસદ તરીકે ચૂંટાયાના માંડ ત્રણ મહિનામાં વિદેશની લાંબી યાત્રાએ પણ કાર્યકરોમાં જગાવેલી નિરાશા
2009ની લોકસભા ચૂંટણીમાં લાલુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી પરંતુ લાલુભાઈ પટેલે પોતાના ટેકેદારોનો વાળ પણ વાંકો નહીં થાય તેની તકેદારી લઈ કાર્યકરો માટે ઢાલ બનીને ઉભા રહ્યા હતા તેની આજે લોકો યાદ કરી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણ અને દીવના સાંસદ તરીકે આવતી કાલ તા.12મી સપ્ટેમ્બરના રોજ શ્રી ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. 4 જૂન, 2024ના રોજ લોકસભાની દમણ અને દીવ બેઠક ઉપરથી વિજેતા બનવા શ્રી ઉમેશભાઈ પટેલ ભાગ્યશાળી રહ્યા હતા.
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન શ્રી ઉમેશભાઈ પટેલે અનેક મહત્ત્વના વાયદાઓ કર્યા હતા. તેમનો દાવો હતો કે, એક વખત સાંસદ બન્યા બાદ માંડ 15 દિવસનીઅંદર લોકોને આપેલા વચનો પૂર્ણ કરશે અને સાંસદ તરીકે દમણ અને દીવમાં તેમનું જ રાજ ચાલશે એવો ભાવ પણ પેદા કર્યો હતો.
આજે ચૂંટણીના પરિણામ આવ્યાના 100 દિવસ પૂર્ણ થયા છે. શ્રી ઉમેશભાઈ પટેલના ભ્રામક પ્રચારથી ભરમાયેલા લોકો હવે પોતે છેતરાયા હોવાની લાગણી પ્રગટ કરી રહ્યા છે. કારણ કે, 100 દિવસમાં પરિણામ શૂન્ય દેખાયું છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નીતિ-નિયમ અને કાયદાના રાજનું સખ્તાઈથી પાલન કરવાની પરંપરામાં જરા પણ ઢીલાશ આવી નથી. જેના કારણે નીતિ-નિયમો અને કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરનારાઓ સામે રાબેતા મુજબ પગલાંઓ ભરાઈ રહ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલના સમર્થનમાં રહેલા મોટાભાગના લોકોનો અવૈધ કારોબાર સાથે સંબંધ હોવાનું ચર્ચાના ચકડોળે છે. જે પૈકીના કેટલાક સામે ચૂંટણી પહેલાથી જ કાર્યવાહી શરૂ હતી અને હવે કેટલાકની સામે થઈ રહી છે. પ્રશાસનિક કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની છૂટ નહીં મળતાં હવે સાંસદ બનેલા શ્રી ઉમેશભાઈ પટેલ ઉપર રાખેલો ભરોસો પણ પાણીના પરપોટાની માફક ફૂટતો નજરે પડી રહ્યો છે. જેના કારણે શ્રી ઉમેશભાઈ પટેલ માટે લોકોને જવાબ આપવો પણ ભારે પડતો દેખાઈ રહ્યો છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની તાજેતરની લંડન યાત્રા ઉપરપણ આંગળી ચિંધાવા લાગી છે. જેમાં એવું છડેચોક કહેવાઈ રહ્યું છે કે, સાંસદ તરીકે શ્રી લાલુભાઈ પટેલ 15 વર્ષ રહ્યા છતાં તેઓ આટલો લાંબો સમય વિદેશમાં નથી રહ્યા. 2009ની લોકસભા ચૂંટણીમાં શ્રી લાલુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તેથી શ્રી લાલુભાઈ પટેલે પોતાના ટેકેદારોનો વાળ પણ વાંકો નહીં થાય તેની તકેદારી તે સમયે લીધી હતી અને કાર્યકરો માટે ઢાલ બનીને ઉભા રહ્યા હતા. તેની સામે સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ પલાયનવાદી નીતિ અપનાવી રહ્યા હોવાનું લોકો સમજી રહ્યા છે.
દમણ અને દીવના લોકો હવે કહેતા થયા છે કે, શ્રી લાલુભાઈ પટેલ ભલે લોકસભામાં ઝાઝુ બોલતા નહીં હતા, પરંતુ પોતાના કાર્યકરોના સુખ-દુઃખમાં તેઓ હંમેશા હાજર રહેતા અને તેમને મદદ કરવાની ભાવના રાખતા હતા. શ્રી લાલુભાઈ પટેલ બોલીને નહીં પરંતુ કામ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરતા હતા. ઘણી વખત તેમને સમસ્યાના ઉકેલમાં નિષ્ફળતા પણ મળતી હતી, પરંતુ તેઓ રણ છોડીને ભાગતા નહીં હતા.
સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ ઉપર રાખેલી આશા 100 દિવસમાં ઠગારી પડતી દેખાઈ છે. તેમણે સંસદમાં લગાતાર પ્રશ્નો ઉઠાવી અને રજૂઆતો કરી લોકોમાં એક આશા અને ઉત્સુકતા અવશ્ય પેદા કરીહતી, પરંતુ ધીરે ધીરે લોકોનો હવે મોહભંગ થઈ રહ્યો છે અને લોકોને હવે સાચી ખબર પડી રહી છે કે દમણ અને દીવ માટે સાંસદનું પદ સર્વોપરી નથી. સાંસદ પાસે કોઈ મહત્ત્વની વહીવટી સત્તાઓ નથી અને જ્યાં સુધી સાંસદ મંત્રી પદ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી પ્રદેશના વિકાસમાં પણ તેમની કોઈ ભૂમિકા રહેતી નથી. તેની સામે કેન્દ્રમાં સત્તાધારી પક્ષના સાંસદ ચૂંટાવા ભાગ્યશાળી બને તો મહત્ત્વની વિવિધ યોજનાઓ લાગૂ કરવા સરળતા રહી શકે તેની સમજ હવે લોકોને ધીરે ધીરે આવી રહી છે.