છાશવારે અકસ્માત સર્જી મુંગા-અબોલ જીવોને મોતને ઘાટ ઉતારનારા ગુનેગારો તેમજ પશુમાલિકો સામે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની ઉગ્ર માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રખડતા અટૂલા મુંગા પશુઓનો પ્રશ્ન આમજનતા માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. જેમાં સેલવાસ શહેરી વિસ્તાર હોય કે પછી નરોલી, રખોલી, દાદરા, સામરવરણી જેવા ગામડાં હોય. મોટાભાગના બજાર-દુકાન ધરાવતા વિસ્તારોમાં રખડતા અને જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવી બેસતા ગાય-બળદ-વાછરડાઓ સહિતના પશુઓના કારણે છાશવારે નાના-મોટા અકસ્માતો થતાં રહે છે. આવા અસ્કમાતોમાં ક્યારે ક્યારેક પશુઓના અથવા માણસોના મોત પણ થતા હોય છે. રસ્તાઓ ઉપર તેમના જમાવડાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હોય છે. આવી શિરદર્દ સમાન સમસ્યા અંગે સેલવાસ નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ સભ્યો તેમજ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો સહિત જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર તંત્રને વારંવારો રજૂઆતોકરવા છતાં પણ વહીવટી તંત્રના સત્તાધિશોના પેટનું પાણી હાલતું નથી અને તેઓ દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી, જેનો ભોગ નિર્દોષ લોકોએ આપવો પડે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ-નરોલી રોડ ઉપર અથાલ નજીક રવિવારની મોડી રાત્રે ટ્રક ચાલક પુરપાટ ઝડપે ટ્રકને હંકારી રહ્યો હતો ત્યારે રસ્તા પર બેસેલી ગાયોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ચાર જેટલી ગાય માતાના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા અને અન્ય ત્રણ જેટલી ગાયાને ગંભીર ઈજા પહોંચી હતી. નજીકના રહીશો દ્વારા ઈજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે ડોકમરડી ખાતે પશુના દવાખાને મોકલવામાં આવી હતી.
જ્યારે આ ઘટનાની જાણ નરોલી ગામના પંચાયત સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકીને થતાં તેઓ એમના સાથી મિત્રો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોતને ભેટલી અને એક ઈજા પામેલી ગાય માતાને ગૌશાળા પર મોકલવામાં આવી હતી.
ઘટના અંગે શ્રી યોગેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગત 23મી ઓગસ્ટના રોજ પણ આવી જ રીતે અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતા ત્રણ જેટલી ગાયોના મોત થયા હતા. તેથી અમે ગંભીરતાથી આ મુદ્દે પ્રશાસનના જવાબદાર તંત્રને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જેમની માલિકીના હોય તેવા પશુ માલિકો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહીકરવામાં આવે જેથી કરીને આ સમસ્યાથી આમજનતાને રાહત મળી શકે. પરંતુ તંત્રએ બોધપાઠ નહીં લઈ સ્થિતિ જૈસે થે રહેતા આજે ફરી વખત ભોગવવા પડયું જેમાં 4 ગાયોના મોત છે અને કેટલીક ગાયોને ગંભીર ઈજા પણ પહોંચી છે. હવે તેના માટે જવાબદાર કોણ?
તેથી હવે પ્રશાસનને અમે ફરીથી આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે, એકટલા-અટૂલા રખડતા અને રસ્તાઓ ઉપર અડીંગો જમાવતા મુંગા-અબોલા તમામ પશુઓને વહેલીમાં વહેલી તકે પકડીને ગૌશાળામાં લઈ જવામાં આવે, અથવા તેમના માલિકોને સખત સૂચના આપીને તેમના ઘરે બાંધવામાં આવે તો ઢોરોના કારણે થઈ રહેલા ટ્રાફિકજામ અને અકસ્માતોની નિવારી શકાય એમ છે. આ ઉપરાંત નરોલી ગામના એક જાગૃત નવયુવાન શ્રી કૃણાલસિંહ પરમારે પણ જણાવ્યું છે કે, સેલવાસ- નરોલી રોડ પર હાલમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેના કારણે રસ્તા પર ઘોર અંધારપટ્ટ રહેતો હોય છે. જેથી ટ્રક સહિત તમામ પ્રકારના નાના-મોટા વાહનચાલકોને રસ્તા પર બેઠેલા પશુઓ દેખાતા નથી, ક્યારેક તો રાહદારીઓને પણ નજરે પડતાં, જેના કારણે વારંવાર અકસ્માતો થતા રહે છે અને ગૌવંશ સહિત માણસોના પણ મોત થાય છે. આ સમસ્યા અંગે નગરપાલિકા તેમજ લાગતા-વળગતા વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી કરેએ ખુબ જરૂરી છે.