ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વતી પ્રદેશ ભાજપે ચૂંટણી સંકલ્પ પત્રમાં દમણ-દીવમાં પોતાનું ઘર બનાવવા પડતી તકલીફમાંથી છૂટકારો અપાવવા આપ્યું હતું વચનઃ ભાજપના ઉમેદવારનો પરાજય થવા છતાં મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને જિલ્લાના લોકોને પડતી તકલીફમાંથી છૂટકારો અપાવવા લીધેલો ક્રાંતિકારી નિર્ણય
પાંચ ગુંઠા એટલે કે, 500મીટરની જગ્યામાં 300 મીટરના 10મીટર ઊંચાઈના બાંધકામને આર્કિટેક્ટ ઓન રેકોર્ડ અને સિવિલ એન્જિનિયર ઓન રેકોર્ડ દ્વારા ડાયરેક્ટ ડેવલપમેન્ટ પરમિશન જારી કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણ જિલ્લામાં પાંચ ગુંઠા (500 ચોરસમીટર) સુધીની સેટલમેન્ટ અથવા રેસિડેન્શિયલ ઝોનમાં આવેલી જગ્યામાં પોતાનારહેઠાણ માટે ઘર બનાવવા હવે એન.એ. અને પ્લાન પાસ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપતો આદેશ દમણના જિલ્લા કલેક્ટર અને પ્લાનિંગ અને ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સૌરભ મિશ્રાએ જારી કર્યો છે. જેના કારણે દમણ જિલ્લાના પોતાનું ઘર બનાવવા ઈચ્છતા લોકો માટે ખુબ મોટી રાહત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ વતી ભાજપે જાહેર કરેલા ચૂંટણી સંકલ્પ પત્રમાં પોતાનું ઘર બનાવવા ઈચ્છતા લોકો પોતાની જમીનમાં સરળતાથી પોતાનું ઘર બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા વચન આપ્યું હતું. ગત લોકસભાની ચૂંટણીમાં દમણ અને દીવ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારનો પરાજય થવા છતાં સંઘપ્રદેશ પ્રશાસને પોતાનું ઘર બનાવવા પડી રહેલી તકલીફથી છૂટકારો અપાવવા દમણ અને દીવના ઇતિહાસમાં ખુબ મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 500 ચોરસમીટરની જગ્યામાં 300 ચોરસમીટર કરતા વધુ નહીં બિલ્ટઅપ એરિયામાં 10 મીટર સુધીની મહત્તમ ઊંચાઈ સાથે ફક્ત રહેવાના હેતુથી મકાનના બાંધકામને ડાયરેક્ટર ડેવલપમેન્ટ પરમિશન આર્કિટેક્ટ ઓન રેકોર્ડ(એ.ઓ.આર.) અથવા સિવિલ એન્જિનિયર ઓન રેકોર્ડ કેટલીક શરતોને આધીન જારી કરશે.
મુખ્યત્વે જ્યાં બાંધકામ થવાનું છે તે જગ્યા રેસિડેન્શિયલ અથવાસેટલમેન્ટ ઝોનમાં આવેલી હોવી જરૂરી રહેશે, અને દમણ જિલ્લાના જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023ની શરતો પૂર્ણ કરવાનું ધ્યાનમાં રાખી એ.ઓ.આર. અને સી.ઈ.ઓ.આર. ડાયરેક્ટ ડેવલપમેન્ટ પરમિશન જારી કરી શકશે.
દરમિયાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ અંતર્ગત ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓ.સી.) અને પ્લીન્થ સર્ટિફિકેટ અરજી કર્યાના કામકાજના 10 દિવસની અંદર આપવાનો આદેશ પણ જારી કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં પોતાની જમીનમાં પોતાના રહેવા માટે ઘર બનાવવા પરવાનગી લેવા માટે ભારે અગવડનો સામનો કરવા પડતો હતો. હવે પોતાના રહેવા માટે પાંચ ગુંઠાની અંદર 300 ચોરસમીટર એટલે કે લગભગ 3000 ફૂટનું 10 મીટરની મહત્તમ ઊંચાઈ એટલે કે, લગભગ 3 માળ સુધીનું મકાન સરળતાથી બનાવી શકશે. સંઘપ્રદેશ પ્રશાસનના આ ક્રાંતિકારી નિર્ણયની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.