(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીના રખોલી દમણગંગા નદીના પુલ પરથી વહેલી સવારે કુદી આત્મહત્યાકરી હોવાની માહિતી મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ રાણા (ઉ.વ.43) હાલ રહેવાસી રખોલી અને મૂળ-રહેવાસી ગુજરાત. જેઓ દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ વર્ષથી કેન્ટીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સવારે છ વાગ્યાના સુમારે ઘરેથી વોકિંગ કરવાના બહાને નિકળ્યા હતા અને પુલની વચ્ચોવચ ઉભા રહી નદીમાં ઝંપલાવી દીધું હતું.
સંદીપ રાણાએ પુલ ઉપરથી કૂદકો મારી નદીના પટના પથ્થરવાળા ભાગમાં પડતાં એમના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટનાને પુલ પરથી પસાર થતાં એક વ્યક્તિની નજર પડતાં એમણે તાત્કાલિક દાનહ પોલીસને ફોલીફોનિક જાણ કરી હતી. જેથી પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતક સંદીપની બોડીનો કબ્જો લઈ પી.એમ. માટે સેલવાસ ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
સંદીપ રાણાએ કયા કારણોસર આ પગલુ ભર્યું એ અંગે જાણી શકાયુ નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.