(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીમાં સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા શિક્ષણ નિર્દેશક અને સચિવને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દાનહ એક આદિવાસી બહુલ વિસ્તાર છે. અહીં વધારે પડતી સરકારી શાળાઓ ચાલે છે. જેમાં મોટી સંખ્યામાં ગરીબ આદિવાસી બાળકો ભણે છે. આ ગરીબ બાળકોના વાલીઓ મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ માટે મોઘું ખાનગી શિક્ષણ મેળવવું મુશ્કેલ છે. જેથી તેઓ ટયુશન ફી ચુકવવાની સ્થિતિમાં પણ નથી. તેથી તેઓ સરકારી શાળામાં એમના બાળકોને ભણવા મોકલાવે છે.
એક તરફ સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ ખોલી રહી છે, ગરીબ બાળકો માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે તો બીજી તરફ કેટલીક સરકારી શાળાના શિક્ષકો ઔપચારિક શિક્ષણને મોંઘું બનાવી રહ્યા છે. તેઓ શાળામાં રેગ્યુલુર ભણાવતા નથી અને ગરીબ કુટુંબના બાળકોને પોતાને ત્યાં ટયુશન પર આવવા માટે સરકારી શાળાના શિક્ષકો મજબૂર કરે છે. જે બાળકો એમને ત્યાં ટયુશન પર નથી જતા તેવા વિદ્યાર્થીઓને શિક્ષકો નજરઅંદાજ કરે છે. તેઓ પર યોગ્ય ધ્યાન આપતા નથી, આવાબાળકોમાં હીનભાવના ભરાઈ ગઈ છે, તેઓ ભણવામાં પણ કમજોર બની રહ્યા છે. જેથી લોક જન શક્તિ પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી મિલન ગોરાતે અનુરોધ કર્યો છે કે જે જે સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટયુશન ક્લાસ ચલાવે છે એમના પર તાત્કાલિક ધોરણે પાબંધી લગાવવામાં આવે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એ સમયની માંગ છે. જેથી આદિવાસી ગરીબ બાળકોના ભવિષ્યની સાથે થતી રમત અટકાવી શકાય.