ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના વરિષ્ઠ અધિકારી એચ.એમ.ચાવડાએ દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ઊંડાણના આદિવાસીઓની રાખેલી ખાસ દરકાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી એચ.એમ.ચાવડાનો ડેપ્યુટેશનનો સમયગાળો પૂર્ણ થતાં તેમને રિલીવ કરાતા આજે સેલવાસના સચિવાલય ખાતે વિદાયમાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના વરિષ્ઠ અધિકારી શ્રી એચ.એમ.ચાવડાને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અખત્યાર સોંપવામાં આવ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ઊંડાણના આદિવાસીઓને તેમના ઘરઆંગણે પ્રશાસનની સુવિધા મળી રહે તે બાબતે તેઓ હંમેશા પ્રયાસરત રહ્યા હતા. ગયા વર્ષે એક જ રાતમાં આભ ફાટતા સર્જાયેલી વિકટ સ્થિતિમાં પણ શ્રી ચાવડાએ ઘટના સ્થળે પહોંચી પોતાના કાર્યક્ષમ અભિગમનો પરિચય આપ્યો હતો.
આજે દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘના અધ્યક્ષસ્થાને આયોજીત વિદાયમાન સમારંભમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી અપૂર્વ શર્મા, ખાનવેલના ડેપ્યુટી કલેક્ટર શ્રી બ્રહ્મા, એડીપીઓ શ્રી સિધ્ધાર્થ જૈન, શ્રી નિલેશ ગુરવ, કલેક્ટરાલયના અધિક્ષક શ્રી ધર્મેશ દમણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.