(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.09: તારીખ 8 ઓક્ટોબરને મંગળવારના રોજ છઠ્ઠા નોરતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોનમાં ઉપસ્થિત રહીને મા ખોડલની આરતીનો લ્હાવો લીધો હતો. શ્રી હર્ષભાઈ સંઘવીએ માતાજીની આરતી કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોનના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત-સન્માન કર્યું હતું.
ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક ખાતે આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં હાજરી આપી હતી. જ્યાં આયોજકોએ શ્રી હર્ષભાઈ સંઘવીને ખોડલધામનો ખેસ અને મા ખોડલની છબી અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સુરક્ષાથી લઈને ખેલૈયાઓ માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાની સરાહના કરી હતી.