પૂર્ણ ગણવેશ અને ઘોષ સાથે નીકળેલ પથ સંચાલન રહ્યું આકર્ષણનું કેન્દ્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.14: વિજયા દસમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, વિજ્યા દસમી એ શક્તિની આરાધનાનું પર્વ છે. શક્તિ સંગઠનમાં છે અને સંગઠન ધ્યેય પૂર્વક સતત પ્રયત્ન કરવાથી થાય છે અને આ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા દ્વારા પ્રાપ્ત થાય છે.
વિજયા દશમી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ છે. 1925 માં ડો.કેશવરાવ હેડગેવાર દ્વારા સ્થાપિત આ સંઘ આજે 2024 માં 100 માં વર્ષમાં એટલે કે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
પારડી નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા તારીખ 13.10.2024 ના રોજ પારડીના ઐતિહાસિક તળાવ કિનારે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉધાન ખાતે સાંજે 5:30 કલાકે વિજ્યા દશમીનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો.
આ વિજયા દસમી ઉત્સવમાં મુખ્ય મહેમાનતરીકે પધારેલ એડવાન્સ કૂલિંગ ટાવર પ્રા.લિ. પારડી જીઆઇડીસીના ચેરમેન ત્રિલોકભાઈ એચ. મિષાીએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં હિંદુ સમાજને આ રાષ્ટ્રવાદી સંગઠનને તન, મન અને ધનથી સહકાર આપવાનું આહવાન કર્યું હતું.
આ ઉપરાંત આ ઉત્સવના મુખ્ય વક્તા મુકુંદભાઈ જોગિયા નવસારી વિભાગના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રચારકે સમગ્ર હિન્દુ સમાજને જાતિ, પંથ, ભાષા અને સંપ્રદાયના વાડામાંથી નીકળી દેશની સમસ્યાના ઉકેલ માટે સંગઠિત થવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમ પહેલા 4:00 વાગ્યે 75 જેટલા સ્વયંસેવકો સાથે પારડી નગરમાં પથ સંચાલનનું આયોજન સંપૂર્ણ ગણવેશ અને ઘોષ સાથે કરવામાં આવ્યું હતું. આ સંચાલન સમગ્ર નગરજનોએ નિહાળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત સ્વયંસેવકો, મહેમાનો તથા નગરજનોએ શષા પૂજન કર્યું હતું.
પારડી નગરના કાર્યવાહ મનીષભાઈ રાણાએ આભારવિધિ નિભાવી હતી.