રેલવે લાઈન ક્રોસ કરવી ગુનો છે, ક્યારેક યમદૂત આવી જીવ લઈ શકે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપીથી સુરત વચ્ચે રેલવે લાઈન હજારો લોકો નિયમિત ક્રોસ કરતા રહે છે. જેને લઈ સેંકડો લોકોના જીવ ગયા છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલવે વિભાગ દ્વારા યમદૂતના નુક્કડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ સ્ટેશન ઉપર પણ યમદૂત નુક્કડનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વાપી રેલવે સ્ટેશન ઉપર યોજવામાં આવ્યો હતો.
રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન ક્રોસ કરતા લોકોની જાગૃતિ માટે યમદૂત કલાકાર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન ઉપર રેલવે લાઈન ક્રોસ કરી રહેલા લોકોને અટકાવી યમરાજે સમજાવ્યા હતા. મોત પૂછીને આવતી નથી, રેલવે ક્રોસ કરતી વખતે અચાનક ગાડીઓ આવી જાય છે ને મોતને ભેટવું પડે છે. તેવો જાહેર સંદેશ યમરાજા આપી રહ્યા હતા. તેમણે પાટા ક્રોસ નહીકરવાની સાથે સાથે ગંદકી નહી કરવાની પણ સલાહ આપી હતી. રેલવે જીઆરપી અધિકારી તથા રેલવેના અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા કે રેલવે લાઈન ક્રોસ કરવી કાનુની કલમ 145 બી હેઠળ ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.