આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં સેવા અને સમર્પણના ભાવ સાથે ઉજવણી થવાની છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની પ્રજા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાયમી ઋણી બની ચુકેલી છે. છેલ્લા 50 વર્ષમાં જે વિકાસના કામો નથી થયા તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયા છે. પ્રદેશમાં પહેલી વખત બિન આઈ.એ.એસ. વ્યક્તિને પ્રશાસક તરીકે નિમણૂક કરવાનો લીધેલો નિર્ણયપણ ખુબ કારગર સાબિત થયો છે. જેના કારણે એક ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશની નોંધ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ લેવાતી થઈ છે. જે બતાવે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રદેશના લોકોની અંગત કાળજી લઈ નિર્ણય લેતા હોય છે.
દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસીને તેમની ઝૂંપડીમાંથી બહાર લાવી સુવિધા સભર ઘર માટેની ચિંતા સંઘપ્રદેશ પ્રશાસન કરી રહ્યું છે. કોરોના કાળમાં કોઈ ભુખુ નહીં સુએ તેની કાળજી પણ પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી પ્રશાસને ખુબ જ અસરકારકતાથી લીધી છે. પ્રદેશમાં દરેક વર્ગના લોકોને સમાન તક મળે અને દરેકને પોતાની લાયકાત પ્રમાણે પ્રગતિના પણ અવસર મળે એ પ્રકારની વ્યવસ્થા પ્રશાસન ઉભું કરવા સફળ રહ્યું છે. જેની પાછળ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અમલીકરણ માટેની કાર્યદક્ષતા રહેલી છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિકસિત પ્રદેશની હરોળમાં ગણતરી કરવામાં આવે છે. જેનો શ્રેય વર્તમાન સરકાર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફાળે જાય છે.
પરમ કૃપાળુ પરમેશ્વર વિશ્વ વંદનીય એવા પરમ આદરણિય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મ દિવસ નિમિત્તે દીર્ઘાયુ અને તંદુરસ્તી બક્ષી નવા ભારતના નિર્માણ માટે બળપ્રદાન કરે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ તેમાં ડગથી ડગ માંડી આગળ વધે એવી વર્તમાન પ્રવાહ પરિવાર દ્વારા દિલની શુભકામના.
(મુકેશ ગોસાવી)
તંત્રી