(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપીથી પ્રસિદ્ધ થતાં દમણગંગા ટાઈમ્સ દૈનિક અખબારના સંસ્થાપક-તંત્રી શ્રી એન.વી. ઉકાણીનું આજરોજ સવારે 11.1પ કલાકે નિધન થયું હતું.
શ્રી એન.વી. ઉકાણી કચ્છના કડવા પાટીદાર હતા અને છેલ્લા 40 વર્ષથી વાપીમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. પ્રારંભમાં તેમણે ઉકાણી કેમિકલ નામની કંપનીની સ્થાપના કરી હતી અને ત્યારબાદ 1998માં વાપીમાં દમણગંગા ટાઈમ્સ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો. પાછળથી દમણગંગા ટાઈમ્સને દૈનિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
શ્રી એન.વી. ઉકાણી મળતાવડા, સૌમ્ય અને પ્રખર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. વાપી સહિત આજુબાજુના વિસ્તારમાં તેમણે પોતાનો મોટો પ્રસંશક ચાહક વર્ગ પણ ઉભો કર્યો હતો.
જાન્યુઆરી-2023માં તેઓ સામાજીક કામ અર્થે પોતાના વતન ભૂજગયા હતા જ્યાં તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ દાખલ કરાયા હતા અને ત્યાંથી વાપી હરિયા રોટરી હોસ્પિટલમાં શીફટ કરાયા હતા. આજે સવારે 11.1પ કલાકે શ્રી એન.વી. ઉકાણી અંતિમ શ્વાસ લઈ ફાની દુનિયા છોડી હતી.
શ્રી એન.વી. ઉકાણીના નિધનના સમાચાર વહેતા થતાં તેમના સેંકડો ચાહકો, શુભેચ્છકો અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. આજે સાંજે 4 વાગ્યે તેમના નિવાસ સ્થાન ગોકુળ વિહાર ટાઉનશીપ વાપીમાંથી નિકળેલી અંતિમ યાત્રામાં સામાજીક, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, પત્રકારો સહિત પરિવારના સભ્યો જોડાયા હતા. તેઓ તેમની પાછળ પોતાના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને બે પુત્રીઓ શીતલબેન અને મિતલબેનને વિલાપ કરતા છોડી અનંત યાત્રાએ નિકળી ગયા હતા.
વાપીથી અખબાર પ્રગટ કરવાનું સાહસ કરનાર શ્રી એન.વી. ઉકાણીને વાપી સહિત સંઘપ્રદેશના લોકો હંમેશા માટે યાદ રાખશે.