ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવશે
આદિજાતિ વિકાસના કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ પણ કરાવશે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા.15મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે વલસાડમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં થશે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવવામાં આવશે.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત કામોનું ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જિલ્લાના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ મંત્રીશ્રીના હસ્તે કરાશે.
જનજાતિય વિસ્તારોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવશે. આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાનશ્રી મોદી દ્વારા વર્ષ 2021થી આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યજ્ઞસ્થળ સભાખંડ ખાતે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ-ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા અને ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પિયુષભાઈ મહાલા સહિત મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.