સેલવાસ ન.પા.ના તમામ રોડના સમારકામ માટે કાઉન્સિલર સુમનભાઈ પટેલની સી.ઓ.ને લેખિત રજૂઆત
દાનહ બાલદેવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બની રહેલા ફલેટ તરફ જવાનો રસ્તો ખરાબ બનતા તાત્કાલિક રોડ રીપેર કરવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે સીઓને કરેલી લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાનહ બાલદેવીમાં પ્રધાનમંત્રી આવાસયોજનાના બની રહેલા ફલેટ તરફ જવાનો રસ્તાની હાલત અંત્યત દયનીય બની જતા આ બાબતે સેલવાસ નગર પાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા સેલવાસ નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.
શ્રી સુમનભાઈ પટેલના જણાવ્યા અનુસાર આખા દાનહમાં તેમજ નગરપાલિકાના કુલ 15 વોર્ડના વિસ્તારમાં રોડની હાલત ખુબજ ખરાબ છે જેના લીધે લોકોને ખુબજ તકલીફ પડી રહી છે. પરંતુ બાલદેવી 15/15 વોર્ડમાં જ્યાં નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન (ફલેટ) લગભગ 700 થી વધારે બની રહ્યા છે, જે ફલેટ પર જવા માટે ત્રણ રોડ આવેલ જેમાં (1) બાપુડ ફળિયા (2) ડાંડૂલ ફળિયા (3) સ્કૂલ ફળિયા આ ત્રણે રોડની હાલત ખુબજ ખરાબ છે જે રિપેર પણ કરતાં નથી.
શ્રી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ લેખિતમાં તેમજ એસએમસીમાં જવાબદાર અધિકારીને ફોન દ્વારા તેમજ રૂબરુ પણ જાણ કરવામાં આવી હતી પરંતુ રોડની હાલત ખુબજ ખરાબ છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આજુ-બાજુમાં આ ત્રણ ગામના અને અથોલા ગામના આદિવાસી લોકો રહે છે તેમજ ફલેટ લેવાવાળા લોકો પણ જોવા માટે વિઝિટ કરે છે, તેઓને રોજની ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે જેને લઈ લોકોમાંઘણી નારાજગી છે.
છેલ્લા 2 વર્ષમાં નગરપાલિકા વિસ્તારમાં જે દરેક પ્રકારના ટેક્ષમાં ખુબજ વધારો કરેલ છે. જેની સામે લોકોને સુવિધા કઈ પણ મળતી નથી એવું લાગી રહ્યું છે. ફકત નોટિસ પર નોટિસ લોકોને અપાઈ રહી છે તેમજ દંડ વસૂલાય રહ્યો છે. રસ્તાના ખાડા પૂરવા કે રીપેર કરવા પર ધ્યાન અપાઈ રહ્યું નથી એવું લાગી રહ્યું છે. જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના આજુબાજુના ગામડા તેમજ સેલવાસ નગર પાલિકાના તમામ રોડ જલ્દીથી રીપેર કરી નવા બનાવવા વિનંતી છે જેથી આવાસ યોજનાની આજુબાજુ સેંકડોની સંખ્યામાં રહેતા આદિવાસીભાઈ-બહેનોને જે રોડના લીધે મુશ્કેલી પડી રહી છે તે દૂર થાય.