બે દિવસ દરમિયાન 980 જેટલા લાભાર્થીઓએ લીધેલો શિબિરનો લાભઃ મોટાભાગની અરજીઓનો સ્થળ ઉપર કરાયેલો નિકાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરઆંગણે જ થાય એવી ઉભી કરેલી વ્યવસ્થાના ભાગરૂપે દાદરા નગર હવેલીમાં દરેક પંચાયત દીઠ ‘‘સરકાર આપકે દ્વાર” કાર્યક્રમ અંતર્ગત લોક દરબારના આયોજનો થઈ રહ્યા છે. જેમાં ફરી એકવાર કૌંચા ગ્રામ પંચાયતના કૌંચા સહિત મેધા, આંબાબારી, વાઘચૌડા, ખેરારબારી, કોઠાર, ઘોડબારી, બિલધરી, ગુનસા અને જમાલપાડામાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘‘સરકાર આપકે દ્વાર” શિબિરમાં કૌંચા ગ્રામ પંચાયતના લોકો માટે પ્રશાસનના વિવિધ 20 જેટલા વિભાગો દ્વારા ઘરઆંગણે સેવાપૂરી પાડવામાં આવી હતી. જેમાં મામલતદાર, ગેસ કનેક્શન, ખાદ્ય અને અન્ન પુરવઠા વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પેન્શન યોજના, મનરેગા, ડે-એનઆરએલએમ, કૃષિ વિભાગ, શિક્ષણ વિભાગ, ટોરેન્ટ પાવર, સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ, જમીન સંપાદન વિભાગ, આધાર સેવા કેન્દ્ર, બેંક વિભાગ, ચૂંટણી વિભાગ, રેડ ક્રોસ વિભાગ, આર.ટી.ઓ. વિભાગ, પ્લાનિંગ અને ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ તેમજ ગ્રામ પંચાયતને લગતા વગેરે વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તેના દ્વારા સુવ્યવસ્થિત રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં બે દિવસમાં કુલ 980 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગની અરજીઓનો સ્થળ ઉપર જ નિવેડો લાવવામાં આવ્યો હતો. ઘરઆંગણે જ લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ મળતાં તેઓના ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળી રહી છે.