માહ્યાવંશી વિકાસ મંચના દીર્ઘદૃષ્ટા મેનેજીંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલે સમાજના લોકોને રાજકીય નેતૃત્વ માટે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા
માહ્યાવંશી ભવનના ભૂમિદાતા કેપ્ટન અમૃતભાઈ ડી. માણેકે સમાજને દેવરૂપ ગણી સેવા કરવા કરેલું આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: સમગ્રભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા આજે નેશનલ હાઈવે નંબર 48 ખાતે મહારાષ્ટ્રની સરહદમાં નવનિર્મિત માહ્યાવંશી ભવન ખાતે મંચના મેનેજીંગ ટ્રસ્ટી અને દીર્ઘદૃષ્ટા શ્રી મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક વિચાર-મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહ્યાવંશી ભવનના નિર્માણ માટે ભૂમિ દાન કરનાર માણેક દંપત્તિ કેપ્ટન શ્રી અમૃત માણેક અને શ્રીમતી કુમુદબેન માણેક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલે પોતાના હૃદયસ્પર્શી વક્તવ્યમાં મંચના ગઠનના છેલ્લા 20-22 વર્ષમાં મેળવેલી સિદ્ધીની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંચના માધ્યમથી અનેક લોક કલ્યાણના કામો થવાના છે. તેમણે ખુબ જ ટૂંકા ગાળામાં માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા નવનિર્મિત આલીશાન ભવન સમાજની એકતા, ઉદારતા અને સમર્પણનું પ્રતિક હોવાનું જણાવ્યું હતું. તેમણે સમાજના લોકોને રાજકારણમાં નેતૃત્વ લઈ આગળ આવવા પણ પ્રેરિત કર્યા હતા.
શ્રી મનહરભાઈ પટેલે આગામી 13મી જુલાઈથી માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ઉમરગામથી શરૂ થનાર સંપર્ક અભિયાનની જાણકારી આપી હતી અને તેમાં જોડાવવા તમામ માહ્યાવંશી વિકાસ મંચના સભ્યોને આમંત્રણ પણઆપ્યું હતું.
આ પ્રસંગે માહ્યાવંશી ભવન માટે ભૂમિ દાન કરનાર મંચ પરિવારના કેપ્ટન શ્રી અમૃતભાઈ ડી. માણેકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજમાં દેવતાનો વાસ હોય છે અને સમાજને આપણી પાસે છે તેમાંથી કંઇક આપવું જોઈએ એવી ભાવનાથી માણેક પરિવારે ભૂમિનું દાન કર્યું છે. આ દાન કંઈ બહુ મોટું નથી.
કેપ્ટન શ્રી અમૃતભાઈ ડી. માણેકે માહ્યાવંશી ભવનનો ઉપયોગ સમાજની મહિલાઓના સશક્તિકરણ માટે કરવાનો પોતાનો વિચાર પણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ભવન આપણી બહેનો દ્વારા આચાર-પાપડ કે બીજી કોઈ ગૃહ વપરાશની ચીજોના ઉત્પાદનનું કેન્દ્ર બને એ પ્રકારે પ્રયાસ કરવા પણ પોતાનું સૂચન રજૂ કર્યું હતું અને માહ્યાવંશી ભવન ખાતે એમ્બ્યુલન્સ સેવા દરેક સમાજ માટે શરૂ કરવાના આયોજનની પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે ગુજરાતના નિવૃત્ત આર.ટી.ઓ. શ્રી મહેશભાઈ ભારતી, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી વસંતભાઈ પરમાર, શ્રી પિકીન કોન્ટ્રાક્ટર, પ્રોફેસર જયંતભાઈ, શ્રી અનિલભાઈ દમણિયા, શ્રી રમેશભાઈ માહ્યાવંશી, શ્રી જીતેન્દ્ર મહેતા, શ્રી કિશોરભાઈ દમણિયા સહિત મંચના ટ્રસ્ટીઓ, જિલ્લા-તાલુકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મંચના મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલે કર્યુંહતું અને આભારવિધિ એડવોકેટ શ્રી પ્રકાશભાઈ પટેલે આટોપી હતી.