કચીગામ કૃષિ ફાર્મ ખાતે મગરવાડા, પટલારા, ઝરી અને દાભેલની 26 બહેનોને આપવામાં આવી રહી મશરૂમની ખેતીની તાલીમ
દમણ જિ.પં.ના પ્રમુખ બાબુભાઈ પટેલ અને જિ.પં.ની કારોબારી સમિતિના અધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલે ઉપસ્થિત રહી આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
આજે કચીગામ કૃષિ ફાર્મ ખાતે મગરવાડા, પટલારા, ઝરી અને દાભેલની 26 જેટલી બહેનોને મશરૂમની ખેતીની તાલીમ આપવામાં આવી હતી.
પ્રદેશના ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે આજે કચીગામ કૃષિ ફાર્મ ખાતે મશરૂમની ખેતીની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સમાજના છેવાડાના લોકોને અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દેશના 600 જિલ્લામાં 6000 પ્રખંડમાં 2.50 લાખ ગ્રામ પંચાયતોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત હૂન્નર માટેની વિશેષ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં દમણ જિલ્લામાં પણ મશરૂમ, પાપડ, અચાર જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી બહેનો આત્મનિર્ભર બની રહી છે જે પ્રદેશ માટે આનંદની વાત છે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું હતું કે, દાભેલ, ઝરી, મગરવાડા જેવા વિસ્તારની બહેનો પણ બહાર આવી ઉત્સાહથી આગળ વધી રહી છે જે આવતા દિવસોમાં નવી ઊર્જા સાથે દેશ તથા સમાજના નવનિર્માણ માટે સહયોગી બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
પ્રારંભમાં શ્રી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટયૂટ ખાનવેલ-દાનહના ડાયરેક્ટર શ્રી સુનિલ માલીએ વિસ્તૃત જાણકારી આપી હત. કાર્યક્રમને સફળ બનાવવામાં એન.આર.એલ.એમ.ના સ્ટેટ મિશન મેનેજર સુશ્રી દિક્ષા શર્મા, ડિસ્ટ્રીક્ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચા તથા શ્રીમતી રેખાબેને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.