કારોબારી સમિતિના અધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલે દરેક ગ્રામ પંચાયત વિસ્તારના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આપેલો ભરોસો
જિ.પં.ની કારોબારી સમિતિની પહેલી બેઠકમાં લેવાયેલા કામો પૈકી કેટલા કામોનું કેટલા સમયમાં કાર્યાન્વયન થાય તેના ઉપર તમામની મંડાયેલી નજર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 29
દમણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલના પ્રમુખ પદ હેઠળ મળેલી આજની પ્રથમ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના અનેક કામોને મંજૂરી આપવામાં આવી હતી અને આવતા દિવસોમાં ફરી એકવાર જિલ્લા પંચાયત ધબકતી થઈ રહી હોવાનો અહેસાસ વ્યક્ત થઈ રહ્યો છે. આજની બેઠકમાં જાહેર બાંધકામ સમિતિ, શિક્ષણ, જાહેર આરોગ્ય, સહકાર, સિંચાઈ, યુવા વિષયક સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલા વિવિધ કામો કારોબારી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ કામો ઉપર ચર્ચા-વિચારણા કરી તેને કાર્યાન્વિત કરવા માટે પ્રક્રિયા શરૂ કરવા મનન-મંથન કરાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે દમણ જિલ્લામાં આવેલ કુલ 62 નંદઘરો પૈકી 22 નંદઘરોને સાંસદનીધિમાંથી નવા બનાવવામાં આવ્યા હતા. જે પૈકી 12 નંદઘરની હાલત ખુબ જ ખરાબ હોવાથી તેને જિલ્લા પંચાયત દ્વારા નવા બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે 22 નંદઘરોની દિવાલ અને છતની હાલત સારી નહીં હોવાથી તેનું સમારકામ અને નવનિર્માણ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે દમણ જિલ્લાના શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી મળે તે હેતુથી પ્રશાસનના સ્ટાફ સિલેક્શન બોર્ડ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, બેંક, રેલવે, એલ.આઈ.સી. વગેરેમાં પણ સફળ થઈ શકે તે માટે જિલ્લા પંચાયત દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
દમણ જિલ્લામાં રમત-ગમત પ્રવૃત્તિને ઉત્તેજન આપવા અને યુવાનોને જોડવા માટે ગ્રામ પંચાયત સ્તરે રમતોત્સવનું આયોજન કરવા પણ ઠરાવ પસાર કરાયો હતો.
આજે મગરવાડા છ રસ્તા ઉપર આવેલ દૂધીમાતા મંદિરની પ્રોટેક્શન વોલ બનાવવા તથા ભીમ તળાવના સૌંદર્યકરણ માટે પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
દમણ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલના પ્રમુખ પદ હેઠળ મળેલી પહેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોપૈકી કેટલા કામોની શરૂઆત થાય તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.