-
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કરાયું
-
સંકલ્પ પત્રમાં દાદરા નગર હવેલીના ભયમુક્ત નિર્માણ સાથે પરિવારવાદથી મુક્તિ અને સર્વાંગી વિકાસના કરાયેલા દાવા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન આજે કેન્દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે સેલવાસના અટલ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દાનહના વરિષ્ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, ગુજરાતના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી પિયુષભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણે જણાવ્યું હતું કે, આ સાધારણ પેટા ચૂંટણી નથી. પરંતુદાદરા નગર હવેલીના ભવિષ્યનું નિર્ધારણ કરનારી પેટા ચૂંટણી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતા નથી. બધા કાર્યકર્તા છે. તેમણે દાદરા નગર હવેલીમાં ભયમુક્ત, પરિવારવાદથી મુક્તિ અને સર્વાંગી વિકાસના દાવા સાથેના સંકલ્પ પત્રનું વિમોચન કર્યું હતું.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દાનહના શહેરી અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર લગભગ બધી જ યોજનાઓનો પ્રભાવી અમલીકરણ આપણા પ્રદેશમાં થશે. દાનહમાં ફરીથી ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થશે અને પરિવારવાદી ગુંડાગર્દીથી છુટકારો મળશે એવો સંકલ્પ દાનહ ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિત આપ સમક્ષ રાખી રહ્યા છે .
શ્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકસભાની પેટા ચૂંટણી ભાજપ વિકાસના મુદ્દા પર લડી રહી છે. દાનહની સામાન્ય જનતા આત્મસન્માન ઝંખે છે અને એટલે જ વંશવાદ અને માફિયાગીરીથી છુટકારો મેળવવાના મુદ્દાને ભારે જન સમર્થન મળી રહ્યું છે.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી મહેશ ગાવિતે જણાવ્યું હતું કે, ભાજપની રાજનીતિ વિકાસ અને લોકોના કલ્યાણની છે. દાદરા નગર હવેલીમાં ભૂતકાળમાં પરિવારવાદની રાજનીતિને મળેલા સમર્થનથીઆદિવાસીઓ, કામદારો, મહિલાઓ, યુવાઓનો વિકાસ થયો નથી.
લોકોને પરિવારના ગુલામ બનાવીને રાખવામાં આવ્યા હતા. હવે પ્રદેશની જનતા આનાથી છુટકારો ઈચ્છે છે અને અમે આ ચૂંટણી ફક્ત વિકાસના મુદ્દા પર લડી રહ્યા છીએ.
શ્રી મહેશ ગાવિતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે પરિવારવાદ નહીં પરંતુ જનતા રાજ આવશે. આજે ઘોષિત કરવામા આવેલા અમારા સંકલ્પ પત્રમાં અમે સ્પષ્ટ કરી દીધુ છે કે હવેથી દાનહ પ્રદેશ પરિવારવાદનો ગુલામ નહી રહે હું પણ એક સામાન્ય આદિવાસી પરિવારનું પ્રતીક છું અને મને વિશ્વાસ છે કે પ્રદેશની જનતા આ ચૂંટણીમાં પ્રદેશમાં જનતા રાજ સ્થાપિત કરવા મને મત આપશે અને જનતા સામાન્ય માણસનો એક પ્રતિનિધિ બનાવીને મને દેશની સૌથી મોટી પંચાયતમાં મોકલશે.