-
રાષ્ટ્રીય સ્વયં સેવક દ્વારા મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર વિજયાદશમીના ઉત્સવનું કરાયેલું આયોજન
-
હિન્દુ સમાજની સજ્જન શક્તિ અને યુવા શક્તિને સમાજના ઉત્થાનના કાર્યોના માત્ર મૂકદર્શક નહીં બની રહી તેમાં સામેલ થવા માટે મુખ્ય અતિથિ ચંદ્રકાંતભાઈ ભંડારીએ કરેલું આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણમાં રવિવાર દિનાંક 17 ઓક્ટોબર 2021,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવ દરમિયાન સંઘના સ્વયંસેવકો દ્વારા પંથ ચલન કરવામાં આવ્યું હતું. લગભગ 80 જેટલા ગણવેશધારી સ્વયંસેવકો ખાખી પેન્ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે ઘોષ વાદનની તાલ પર કદમથી કદમ મિલાવી પથ સંચલન કર્યું હતું. આ પંથ સંચલન મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી નીકળી મોટી દમણની ગલીઓમાં અને મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ લગભગ ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપી પાછું ફૂટબોલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થયું હતું. પથ સંચાલનમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુ શ્રી ભગવા ધ્વજને લઈ આગળ ચાલી રહ્યા હતા, પથસંચલનના માર્ગમાં હિન્દુ સમાજ દ્વારા અનેક સ્થાનો ઉપર પુષ્પવર્ષા કરી અને ભારત માતાની જય અને જય શ્રી રામ એવા જયઘોષ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ છ વાગે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પર જ સાર્વજનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે આશ્રમશાળા ભીમપોરના નિવૃત પ્રધાનાચાર્ય શ્રી ચંદ્રકાંતભાઈ ભંડારી અને મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડના સંઘચાલક શ્રી આનંદભાઈ પુમપુટકર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
સાર્વજનિક કાર્યક્રમ અંતર્ગત સ્વયંસેવકો દ્વારા દંડ યોગ, વ્યાયામયોગ અને દંડનું પ્રત્યક્ષીક કરવામાં આવ્યું હતું, મુખ્ય અતિથિ સ્થાનેથી બોલતા શ્રી ચંદ્રકાંતભાઈએ હિન્દુ સમાજની સજ્જનશક્તિ અને યુવાશક્તિને સમાજ ઉત્થાનના કાર્યોના માત્ર મૂકદર્શક નહીં બની રહેતા સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.
મુખ્ય વક્તા સ્થાનેથી શ્રી આનંદભાઈ દ્વારા સ્વયંસેવકો અને હિન્દુ સમાજને બાળકોની સંસ્કાર પ્રક્રિયા ઉપર વિશેષ ધ્યાન આપવા માટે, તથા હિન્દુ સમાજની મહાન વિભૂતિઓના જીવન પ્રસંગો યુવા વર્ગ સમક્ષ રાખવા માટે સૂચન કર્યું તથા સમાજ સામેના પડકારો સામે સજ્જ થવા માટે અને જરૂરી સાવધાની રાખવા માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સાર્વજનિક કાર્યક્રમ અંતર્ગત લગભગ 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સંઘ પ્રાર્થના બાદ શષા પૂજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.