-
દાનહમાં દિન-પ્રતિદિન વધી રહેલો કોંગ્રેસનો જનાધાર
-
કોંગ્રેસ સરકારે જ દાદરા નગર હવેલી માટે જાહેર કરેલી ટેક્ષ હોલી-ડે નીતિના કારણે ઔદ્યોગિકરણ થતાં વધેલી સમૃદ્ધિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ એક જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, 1991-92માં કોંગ્રેસ સરકારે જાહેર કરેલ ટેક્ષ હોલી- ડેના કારણે જ દાદરા નગર હવેલીનો વિકાસ સંભવ બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક નેતાઓએ કોંગ્રેસ સાથે કરેલા દગાનું ફળ આજે દાદરા નગર હવેલી ભોગવી રહ્યું છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીની તરફેણમાં આજે જુદી જુદી જગ્યાએ મળેલ ગ્રુપ મિટીંગમાં કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ દાદરા નગર હવેલીના વિકાસની બ્લ્યુ પ્રિન્ટ પણ સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ ગમે એટલો મોટો નેતા કેમ નહિ હોય, પરંતુ જો તેમની વફાદારી પોતાના માતૃપક્ષ સાથે નહિ રહે તો પોતાનો પ્રદેશ વિકાસથી વંચિત રહી જાય છે. તેથી કોંગ્રેસનાઆશીર્વાદથી તગડા થયેલા નેતાઓએ કરેલા વિશ્વાસઘાતનું પરિણામ આજે પ્રદેશની જનતા ભોગવી રહી છે.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા તેમજ ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીએ પોતાની તમામ શક્તિ લગાવી શરૂ કરેલા પ્રચાર અને જાગૃતિ અભિયાનના કારણે દાદરા નગર હવેલી બેઠક ઉપર કોંગ્રેસ મક્કમતાથી આગળ વધી રહી છે.