(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહમાં લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના પાલન માટે વિવિધ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા અને પ્રસાશનિક અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામા આવી રહી છે. જેની જાણકારી લોકો સુધી પહોંચે તેમજ ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને સાચી જાણકારી મળે એ માટે દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ વિભાગ દ્વારા ડીડ મોબાઈલ એપ્લીકેશન લોન્ચિંગ કરવામા આવી છે.
આ એપ સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, આ એપમાં આદર્શ આચારસંહિતા દરમ્યાન કેટલા રોકડા રૂપિયા સીઝ કરવામા આવ્યા, કેટલા લીટર દારૂ સીઝ કરવામા આવ્યું એની સાથે ચૂંટણી સંદર્ભે અન્ય ફરિયાદો પ્રાપ્ત થઈ છે, સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા કરવામા આવેલ કાર્યવાહી તેની જાણકારી ઉપલબ્ધ કરવામા આવશે. જેના પાસે યુઝર અને પાસવર્ડ રહેશે તેઓ જ આ ડીડ એપને ઓપરેટ કરી શકશે.
કલેકટર અને ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિનહાસે જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસનને આદેશ આપવામા આવ્યો છે કે આદર્શ આચારસંહિતા દરેકને સમાન લાગુ થાય છે ભલે એસરકારી કર્મચારી હોય કે ખાનગી સંસ્થામા કામ કરતો કર્મચારી હોય કે સામાન્ય નાગરિક કેમ ના હોય. ડો.રાકેશ મિન્હાસે વધુમાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે દરેક ગાડીઓની તપાસ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવશે. જો ખાલી એમ્બ્યુલન્સ પણ જતી જોવા મળશે તો એને પણ ચેક કરવામા આવશે.
કેશ લઈને જતી બેંકની ગાડીઓએ પણ તપાસ કરવામા આવશે, ચૂંટણીમા ફરજ બજાવનાર અધિકારીઓ પણ ગાડીઓ ચેક કરાવશે, કે જેથી આદર્શ આચારસંહિતાનું પાલન સમાનરૂપે થઈ શકે.
આ અવસરે જનરલ ઓબ્ઝર્વર શ્રી યોગેશકુમાર આઈએએસ, પોલીસ ઓબ્ઝર્વર શ્રી ભંવરલાલ મીના આઇપીએસ, એક્સ્પેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી હિવાસે અનુપ સદાશિવ, કલેકટર અને ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્હાસ, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, આરડીસી ચાર્મી પારેખ સહિત પોલીસ સ્ટાફ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.