April 17, 2026
Vartman Pravah
તંત્રી લેખદમણ

દાનહમાં છેલ્લા પાંચ વર્ષથી હપ્તાખોરી માફિયાગીરી અસામાજિક પ્રવૃત્તિ ઉપર લાગેલી રોક

  • ભૂતકાળમાં ‘જેની લાઠી તેની ભેંસ’ હતી અને પ્રદેશમાં જગલાનો આતંક, ભગલાનો ભય અને કાલિયાનો કકળાટ હતો

  • 2011ના માર્ચ મહિના પછી પ્રશાસક તરીકે નરેન્‍દ્ર કુમારના આગમન બાદ ખંડણીખોરો, માફિયાઓ, ઓઈલ તસ્‍કરો સહિતની અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ ઉપર બેઠેલી શનિની સાડા સાતીની સીધી અસર 2016ના ડિસેમ્‍બરથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના કાર્યકાળથી દેખાવામાંડી

  • દાનહના મુઠ્ઠીભર લોકોને પોતાના અસ્‍તિત્‍વનો હવે દેખાવા માંડેલો ભયઃ લોકોને ગુમરાહ કરવા શરૂ થયેલા પ્રયાસો, પરંતુ પ્રજા ભાગ્‍યે જ 1989 પછીના દોરને ભૂલી શકી છે

દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ વર્ષથી હપ્તાખોરી, માફિયાગીરી, અસામાજિક પ્રવૃત્તિ વગેરેમાં રોક લાગી છે. બહુમતિ લોકો કાયદાના રાજને માન આપતા થયા છે. ભૂતકાળમાં ‘જેની લાઠી તેની ભેંસ’ જેવી સ્‍થિતિ હતી. લોકોમાં ‘જગલાનો આતંક હતો, ભગલાનો ભય હતો અને કાલિયાનો કકળાટ હતો”. 2009ની લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દાદરા નગર હવેલીમાં 2011ના માર્ચ સુધી સ્‍થિતિ જેવી ને તેવી રહી હતી. કારણ કે, કેન્‍દ્રમાં કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના કહ્યાગરા એવા પ્રશાસક તરીકે શ્રી સત્‍ય ગોપાલ બિરાજમાન હતા.
2011ના માર્ચમાં ભારત સરકારે પ્રશાસક તરીકે શ્રી નરેન્‍દ્ર કુમારની નિયુક્‍તિ કર્યા બાદ પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થાના રાજની શરૂઆત થઈ હતી. પ્રશાસક તરીકે શ્રી નરેન્‍દ્ર કુમારે જ આદિવાસીઓને કોલેજનું શિક્ષણ મળી રહે એ હેતુથી સેલવાસના નરોલી ખાતેની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ડીગ્રી કોલેજનો પ્રારંભ કરાવ્‍યો હતો.
2011ના માર્ચ મહિના પછી દાદરા નગર હવેલીના ખંડણીખોરો, માફિયાઓ, ઓઈલ તસ્‍કરો સહિતની અસામાજિક પ્રવૃત્તિ કરનારા અને તેમાંસામેલ નેતાઓ ઉપર પણ શનિની સાડા સાતી બેઠી હતી. દાદરા નગર હવેલીની સ્‍થિતિને સીધી કરે તે પહેલાં જ માફિયા તત્ત્વોના દબાણથી પ્રશાસક પદેથી શ્રી નરેન્‍દ્ર કુમારની સમય પહેલાં બદલી કરી નાંખવામાં આવી હતી. ત્‍યારબાદ આવેલી 2014ની ચૂંટણીમાં લોકોએ પ્રમાણિક અને કર્તવ્‍યનિષ્‍ઠ એવા પ્રશાસક શ્રી નરેન્‍દ્ર કુમારની બદલીમાં સામેલ તત્ત્વોને પુરેપુરો બોધપાઠ આપ્‍યો હતો.
2014માં દેશમાં નરેન્‍દ્ર મોદી સરકારના ગઠન બાદ પ્રદેશના લોકોમાં પણ એક નવી આશા અને આકાંક્ષા જન્‍મી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તંત્રને પાટા ઉપર લાવવા પોતાના અનેક પ્રયાસો શરૂ કર્યા હતા. જેના પરિણામ સ્‍વરૂપ છેવટે 2016ના ઓગસ્‍ટ મહિનામાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની વરણી દમણ-દીવ માટે કરવામાં આવી હતી અને ડિસેમ્‍બરના આખરમાં દાદરા નગર હવેલીનો હવાલો પણ શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરાયો હતો.
2017થી 2019 સુધી માફિયાગીરી અને ખંડણીખોરીમાં સામેલ તત્ત્વોએ પોતાની લીલા સંકેલી ડાહ્યા ડમરા થઈ પ્રશાસકશ્રીના દરબારમાં કુરનિસ બજાવતા થઈ ગયા હતા. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ 2017થી 2019માં હંમેશા એવું કહેતા હતા કે, પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાવી જોઈએ, ખંડણીખોરી અને હપ્તાખોરી બંધ થવીજોઈએ. જો કોઈ ચમરબંધી પણ તેમાં સામેલ જણાશે તો તેમને છોડવામાં નહીં આવશે.
લોકસભાની 2019ની ચૂંટણીના પરિણામ બાદ એક વર્ગને એવું લાગવા માંડયું કે હવે ફરી આપણું રાજ આવી ગયું છે. પ્રશાસકશ્રીએ તે વખતે પણ યાદ અપાવ્‍યું કે તેઓ હપ્તાખોરી, ખંડણી અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિના વિરોધી છે અને તેઓ જ્‍યાં સુધી રહેશે ત્‍યાં સુધી આવી પ્રવૃત્તિઓ બર્દાસ્‍ત નહીં કરશે. કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મુકેલા વિશ્વાસને સાર્થક કરી નવા ભારત સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ તાલથી તાલ મેળવવાના હતા. છેવટે પ્રશાસકશ્રીને હટાવવાના તમામ પ્રયાસો નિષ્‍ફળ જતાં પછીનું પરિણામ પ્રજાની સમક્ષ છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીનું પરિણામ ગમે તે આવે પરંતુ પ્રશાસકશ્રી અડીખમ રહેવાના છે. હવે પ્રશાસકશ્રીની વિદાય બાદ પણ ગોઠવાયેલી વ્‍યવસ્‍થા પ્રમાણે જ્‍યાં સુધી મોદી સરકાર રહેશે ત્‍યાં સુધી ખંડણીખોરી, હપ્તાખોરી, ઓઈલ-કેમિકલ ચોરીનો કારોબાર કે અન્‍ય અસામાજિક પ્રવૃત્તિ છોડવી જ પડશે.

  • એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
    પ્રવાસન મથક તરીકે ખાનવેલની નામના 1991-’92માં સર્વોચ્‍ચ શિખરે હતી. તે વખતે સુરત કે દમણથી આવતા સહેલાણીઓને લૂંટતી સ્‍થાનિક ગેંગ પણ સક્રિય બની હતી. જેમને સ્‍થાનિક રાજકારણીનેતાઓનું સંરક્ષણ હતું. જે તે વખતે સેલવાસના વેપારીઓ, ફળ-ફ્રૂટના વિક્રેતાઓ કે રોજ કમાઈને રોજ ખાવાવાળા ફેરિયાઓ પણ આતંકથી ત્રાસી ગયા હતા. કોઈ મામાનો ભાણેજ જગલો હતો તો કોઈ મણિયો, કાલિયો કે ભગલાના વેષમાં પોતાની તરકટ લીલા કરતા હતા.

Related posts

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

જનરેશન ગેપ એ એક ભ્રમ છે, અંધ બાપ પણ પોતાના દિકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે!

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

Leave a Comment