-
શિવસેના દ્વારા જારી ઘોષણા પત્રને લોકોને ગુમરાહ કરનારો ગણાવતું કોંગ્રેસ
-
દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્ત દાનહની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ થયેલું અક્ષમ્ય નુકસાનઃ દાનહ કોંગ્રેસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલ ઘોષણા પત્રને જનતાનો નહીં પરંતુ પ્રદેશની જનતાને ગુમરાહ કરનાર ઘોષણા પત્ર હોવાનો પ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો હતો.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ યાદ અપાવતા જણાવ્યું હતું કે, સતત 20 વર્ષ સુધી સંસદમાં દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરનારા સ્વ. સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાના કાર્યકાળ દરમિયાન શા માટે વિધાનસભાના ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત નહીં કરી? પડોશના દમણ-દીવના તત્કાલિન કોંગ્રેસી સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલે લોકસભામાં વિધાનસભા ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત કરી હતી તો તે સમયે દાદરા નગર હવેલીના સાંસદે શા માટે સમર્થન નહીં આપ્યું હતું?
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ ભારપૂર્વકજણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે વફાદારી પૂર્વક અત્યાર સુધી રહ્યા હોત તો દાદરા નગર હવેલીમાં ક્યારનીય વિધાનસભા આવી ગઈ હોત. તેમણે પંચાયતી રાજનું દૃષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના રાજમાં જ પંચાયતોનો સુવર્ણ કાળ હતો. પરંતુ દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્ત દાદરા નગર હવેલીની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ અક્ષમ્ય નુકસાન થયું હોવાનો દાવો દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ કર્યો છે.