-
દમણ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે ઔદ્યોગિક એકમોના સંચાલકો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે કરેલી ચર્ચા-વિચારણા
-
દમણ જિલ્લાના તમામ ઘરો ઉપર 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો શોભશેઃ જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલું માઈક્રોસ્તરનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં દમણ જિલ્લા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે ઔદ્યોગિક એકમોના સંચાલકો અને સર્વ સમાજની એક બેઠક બોલાવી હતી. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દમણ કલેક્ટરાલયના સભાખંડમાં આયોજીત બેઠકને સંબોધતા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે જણાવ્યું હતું કે, ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા થવા ઉપર ખુશીનો ઉત્સવ મનાવી રહ્યો છે. જેના અંતર્ગત દેશમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. આ 15મી ઓગસ્ટે દેશ પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે અને આ ઐતિહાસિક ઘટનાના અનુસંધાનમાં સરકારે સ્વતંત્રતા દિવસને યાદગારબનાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવાની એક મોટી યોજના તૈયાર કરી છે. જેના અંતર્ગત સરકાર તરફથી દરેક દેશવાસીઓને અપીલ કરવામાં આવશે કે તેઓ સ્વતંત્રતા દિવસના અવસર ઉપર પોતપોતાના ઘરોમાં પોતાના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ફરકાવી આ પાવન પર્વે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર અભિમાનની ભાવનાને જાગૃત કરી શકે. આ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતતા અને દેશપ્રેમ જગાવવા માટે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે. દમણ જિલ્લામાં પણ દરેક સરકારી કાર્યાલય, સ્કૂલો, કોલેજો, હેલ્થ વેલનેસ સેન્ટર, બેંક, આંગણવાડી, હોટલ, કંપનીઓ અને અન્ય સરકારી અને ગેરસરકારી ઈમારતો ઉપર તિરંગો ફરકાવવામાં આવશે.
ડો. તપસ્યા રાઘવે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય જનતાની સગવડતા માટે ભારતીય ધ્વજ કોડ 2002માં સંશોધન પણ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તિરંગાને સુતરાઉ, પોલીએસ્ટર, ઊન, રેશમ અને ખાદીથી બનેલ સામગ્રીમાં પણ ખરીદી શકાશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો તિરંગાને સરકારી રાશનની દુકાનો, નગરપાલિકા, પંચાયત, એમેઝોન, ફલીપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ ઉપરથી પણ ખરીદી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, તિરંગાની ગરિમા પણ બની રહેવી જોઈએ અને દરેકલોકોની જવાબદારી છે કે, ‘હર ઘર તિરંગા’ બાદ તિરંગો ગંદકીમાં નહીં મળવો જોઈએ.
કલેક્ટર ડો. તપસ્યા રાઘવે તમામ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને સર્વ સમાજના લોકોએ પોતાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તિરંગો પ્રદર્શિત કરી પ્રોત્સાહિત કરવા પણ અનુરોધ કર્યો હતો અને તિરંગા સાથે સેલ્ફી લેવી તેને સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઈટ ઉપર અપલોડ કરવાનું પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપરાંત શીખ, મારવાડી, જૈન, શિયા, સુન્ની, ઈસાઈ, ટંડેલ, પટેલ, હળપતિ, ધોડી, માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓ સહિત અન્ય સમાજના લોકોની પણ ઉપસ્થિતિ રહી હતી.