સાંસદનીધિમાંથી 25 એમ્બ્યુલન્સ અપાતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદ રૂપ બની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ભારપૂર્વક ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવાનું આહ્વાન કરતા જણાવ્યું હતું કે, 1989થી 2009 સુધી દાદરા નગર હવેલીમાં ઊંડાણના આદિવાસી વિસ્તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ કોઈ બિમાર વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવાની કોઈ સુવિધા નહીં હતી. પરંતુ તેઓ સાંસદ બન્યા બાદ પોતાના સાંસદનીધિમાંથી 25 એમ્બ્યુલન્સ દાદરા નગર હવેલીની જનતાનાચરણોમાં સમર્પિત કરતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, વિવિધ બ્રિજ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીંગરોડ, ઈન્ટરનેશનલ સ્ટેડિયમ સહિતના વિકાસના કામો દ્વારા પ્રદેશની તસવીર બદલાઈ ચુકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીની મુક્તિના 57 વર્ષ સુધી બી.એ., બી.કોમ., બી.એસસી. થવા માટે કોઈ કોલેજ જ નહીં હતી. ત્યારે તેમણે તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મસલત કરી દાદરા નગર હવેલીની સરકારી કોલેજને ગુજરાત યુનિવર્સિટીનું એફિલીએશન અપાવ્યું હતું.