દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. વિવેક કુમારે પોતાની ટીમ સાથે સ્થળનું કરેલું નિરિક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના યશસ્વી કાર્યકાળમાં સંઘપ્રદેશ એક પછી એક સિદ્ધિના શિખરો સર કરી રહ્યો છે.
સરકારશ્રી દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રકારના લાભો સંઘ પ્રદેશના તમામ લાભાર્થીઓને મળી રહે તે માટેના એમના સ્વપ્નોને સાકારિત કરવા સંઘપ્રદેશના અધિકારીઓના અથાગ રુપે પ્રયાસો રહ્યા છે.
આવા જ એક પ્રયાસના ભાગ રૂપે જિલ્લાપંચાયત, દાદરા અને નગર હવેલીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. વિવેક કુમાર દ્વારા વિકાસ અને આયોજન અધિકારી શ્રી એમ. કે. રાણા, મદદનીશ ઇજનેર, જાહેર બાંધકામ વિભાગ (જિલ્લા પંચાયત) શ્રી બી. એસ. દેસાઈ, કિલવણી વિભાગના નાયબ ઇજનેર શ્રી એમ. જે. ભાવસાર તથા અન્ય સંબંધિત અધિકારીઓ સાથે કિલવણી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યની ઉપસ્થિતિમાં કિલવણી ગામમાં વિવિધ લાભાર્થીઓને મળી સરકારશ્રીની વિવિધ યોજનાઓની વિગતવાર ચર્ચા વિચારણા કરી વિવિધ કામોની સમિક્ષા કરવામાં આવી.
કિલવણી ગ્રામ પંચાયત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળી આ યોજના વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
વધુમાં જે લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રકમ પ્રાપ્ત થયેલ હોય અને બીજા કે ત્રીજા હપ્તાની રકમ બાકી હોય તે અંગે સબંધિત અધિકારીને સૂચના આપી આગળની કાર્યવાહી ત્વરિત ગતિથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે લાભાર્થી પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત નોંધાયેલ છે તથા જેમને હપ્તાની રકમની ચૂકવણી કરવાની બાકી હોય તેમને પણ આ યોજના અંતર્ગત બાંધકામ માટેની રકમ જલ્દીથી પ્રાપ્ત થાય તે માટે બાહેંધરી આપવામાં આવી હતી.