-
શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ શિવસેનાના કાર્યાલય ટોકરખાડા ખાતે આજે શિવસેનાના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવામાં આવશે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવારે હાથ મેળવતાની સાથે જ સારા પરિણામોની શરૂઆત પ્રદેશમાં જોવા મળી છે. જે પ્રમાણે મહારાષ્ટ્રરાજ્યમાં શિવસેનાના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના કામોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે તેવી રીતે આપણા પ્રદેશના કામોની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવે તે પ્રકારની કાર્યશૈલી સાથે કામો કરવામાં આવશે. આ પ્રસંગે જન પ્રતિનિધિઓ સહિત શિવસેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.