(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18
લોકો એમ માને છે કે આજે ચોમાસું પુરું થાય છે પરંતુ ચોમાસું ભલે પુરું થાય-જીવન પુરું થતું નથી. ચોમાસાની ફળશ્રુતિ એ છે કે ‘‘ધર્મમય નવતર જીવનની શરૂઆત કરવી.”
તમને ખ્યાલ જ હશે કે, સૌરાષ્ટ્રમાં વરસાદ માત્ર દોઢ કે બે મહિના જ પડે છે પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ પાણી બારે મહિના પીએ છે. તરસ્યા રહેતા નથી. કારણ તેઓ ઘર નીચે ટાંકુ બનાવી દઈ બે મહિનામાં બાર મહિનાના પાણીનો સંગ્રહ કરી લેતા હોય છે.
ચોમાસા ચાર મહિના મહાત્માઓ વાપીની વર્ષા કરતાં હોય છે. પછી વિહાર કરતા હોય છે પરંતુ ચાર મહિનામાં સાંભળેલ વાપી જે હૃદયની ટાંકીમાં અકબંધ સંગ્રહિત કરી લેવાય તો બારે મહિના આત્મજાગૃતિ આવ્યા વિના ન રહે. ઉપરોક્ત શબ્દો આજરોજ વેસુ-ફોનિક્ષ ટાવરના વ્યાખ્યાન વાચસ્પતિ પ્રવચન મંડપમાં સુપ્રસિધ જૈનાચાર્યશ્રી વિજયમુક્તિપ્રભસૂરિજીએ સભા સમક્ષ ઉચ્ચાર્યા હતા.
યુવા પ્રવચનકાર પૂ.પંન્યાસશ્રી પુણ્ય રક્ષિત વિજયજીએ આજના ચાતુર્માના અંતિમ દિને ચાતુર્માસિક પ્રવચનનો ‘‘શ્રી ઉપદેશ કલ્પવલ્લી ગ્રંથ” પૂર્ણાહુતિ કરતાં શ્રોતાઓએ અદ્દભુત તૃપ્તિનો અનુભવ કર્યો હતો. પ્રત્યેકશ્રાવકે જીવનમાં આચરવા યોગ્ય 36 કર્તવ્યો ઉપર પંન્યાસજી મહારાજે રસભરપૂર પ્રવચન ફરમાવી શ્રાવક સમુદાયમાં ધર્મ ભાવનાની વૃદ્ધિ કરી હતી.
જૈનાચાર્યશ્રીએ પ્રવચન સભાને અંતે અંતિમ સંદેશ આપતા મીઠા શબ્દોમાં જણાવેલ કે, પ્રવચન શ્રવણ સારા તમે સન્મતિ, સમાધિ દ્વારા સદ્દગતિ અને સંયમ દ્વારા સિદ્ધિગતિ સાધનારા બનો એ જ ચાતુર્માસની ફળશ્રુતિ છે.
આવતીકાલે કાર્તિકી પૂર્ણિમાના મંગલદિને ભારતભરના સંઘોમાં શ્રી શત્રુંજય મહાતીર્થના પટ જુહારવાનો અને ચાતુર્માસ પરિવર્તનનો મંગલ કાર્યક્રમ થશે.
દ્રાવિડ અને વારિબિલ્લજી આસો સુદ-15ના શત્રંજય મહાતીર્થે ઉપર ચઢી માસક્ષમણ કરી 10 કરોડ મુનિઓ સાથે આજના દિવસને મોક્ષે ગયા હતા. તે દિવસની યાદગિરીમાં જૈનો કાર્તિકી પૂર્ણિમાના દિને દૂરદૂરથી આવી યાત્રા કરતા હોય છે.