-
મોટી દમણ સ્મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથામાં શિવ-પાર્વતી વિવાહની ધામધૂમપૂર્વક થયેલી ઉજવણી
-
આજે શિવ કથામાં ગણેશ પ્રાગટયના પ્રસંગને વણી લેવાશે
-
સાંસદ લાલુભાઈ પટેલે પણ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23
મોટી દમણના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે ચાલી રહેલ પ્રસિદ્ધ કથાકાર શ્રીમેહુલભાઈ જાની(ખેરગામવાળા)ની શિવ કથાના આજે ચોથા દિવસે શિવ-પાર્વતી વિવાહનું તાદૃશ્ય નિરુપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ શ્રોતાઓ શિવ-પાર્વતી વિવાહના દિવ્ય પ્રસંગને નિહાળી ભાવ-વિભોર બની ગયા હતા.
સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ વ્યાસપીઠ ઉપરથી શિવ-પાર્વતી વિવાહના પ્રસંગને વણી લઈ પોતાની ભાવવાહી વાણીમાં જણાવ્યું હતું કે, આપણા સંતાનો અને આવનારી પેઢીને સત્સંગ, સંસ્કાર, શિક્ષણ અને શિવ કથા રૂપી આધ્યાત્મિક શક્તિની ખુબ જરૂર છે. તલવારની ધાર કરતા જીભની ધાર તેજ હોય છે. જે વ્યક્તિની વાણીમાં વિવેક હોય તે વિશ્વને જીતી શકે છે.
શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા)એ પાર્વતી માતાની માતૃ શક્તિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, દિકરી એ પિતાનો શ્વાસ છે, પ્રેમ એ ભગવાન સ્વરૂપ છે. તેમણે પોતાની ભાવવાહી અને કર્ણપ્રિય વાણીમાં કથાનું આબેહુબ રસપાન કરાવ્યું હતું.
કથામાં શિવ-પાર્વતી બનવાનો લ્હાવો શ્રી અશોકભાઈ રાણા અને શ્રીમતી ઉષાકિરણ રાણાએ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દુણેઠાના શ્રી ભરતભાઈ પટેલ સહિત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શિવ કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સ્મશાન ભૂમિના તમામપદાધિકારીઓ અને આગેવાનો સતત મહેનત કરી રહ્યા છે. શ્રી અશોકભાઈ રાણા, શ્રી વાસુભાઈ પટેલ, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી ધીરજભાઈ ટંડેલ સહિતના તમામ આગેવાનો હિન્દુ સ્મશાન ભૂમિના નવ સંસ્કરણ અને શિવ પ્રતિમાની સ્થાપના માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.