-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્વમાનભેર જીવવા માટેનું એક ઓર પ્રદાન કરેલું મહત્વનું હથિયાર : સરપંચ મુકેશ ગોસાવી
-
દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા તમામ ખેડૂતો ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની સુવિધાથી સજ્જ બને તેની રખાનારી કાળજી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતો સાથે બેંક અધિકારીઓના વાર્તાલાપનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની મશાલ ચોક શાખાના પ્રબંધક શ્રી કપિલ વળવી અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની નાની દમણ શાખાના પ્રબંધક શ્રી સત્યેન્દ્ર કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણવાડાગ્રામ પંચાયતના પલહિત વિસ્તારના ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘કિસાન સન્માન નિધિ’ અંતર્ગત ખેડૂતોના ખાતામાં વર્ષની આખરમાં રૂા. 6 હજારની રકમ જમા થાય છે અને હવે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ અંતર્ગત ખેડૂતો પોતાની ખેતીના વિકાસ માટે કોઈની પાસે હાથ લંબાવવાની જગ્યાએ ‘કિસાન ક્રેડિટ કાર્ડ’નો ઉપયોગ કરી શકે છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્વમાનભેર જીવવા માટેનું એક ઓર મહત્વનું હથિયાર પ્રદાન કર્યુ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા ખેડૂતો પૈકી એક પણ ખેડૂત ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની સુવિધાથી વંચિત નહી રહી જાય તેની કાળજી રાખવા પણ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની મશાલ ચોક શાખાના પ્રબંધક શ્રી કપિલ વળવી અને નાની દમણ શાખાના પ્રબંધક શ્રી સત્યેન્દ્ર કુમારે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની ખાસિયતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સૌથી ઓછા વ્યાજ દરે ખેડૂતોને જરૂરી ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમનું સંચાલન અને સમાપન પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું. આ પ્રસંગે પલહિત વિસ્તારનાખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.