(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.23
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની જમીનની રૂા.2.12 કરોડ રૂપિયા જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાઉં કરી જનારાઓ સામે આધાર પુરાવા સાથેની લેખિત રજૂઆતને લાંબો સમય વીતવા છતાં પોલીસ દ્વારા ગુનો દાખલ નહીં કરવામાં આવતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
બોગસ પાવરના આધારે જેના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવાયા હતા. તે વ્યક્તિ દ્વારા સુરતના બે વકીલ સહિત ચાર જેટલા સાંસ લેખિત રજૂઆત કરવા છતાં પોલીસ ફરિયાદી પક્ષના નિવેદન લેવા સિવાય આગળ વધી શકી નથી.
પ્રાપ્ત વિગત મુજબ મનોજ રામદાસ ગાયકવાડે (રહે.નદી મહોલ્લો ખૂંધ તા.ચીખલી) ચીખલી પોલીસ, એસ.પી. કચેરી, કલેકટર કચેરીમાં આલીપોરના બે અને સુરતના બે વકીલ સહિત ચાર જેટલા સામે આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યાનુસાર આલીપોરના બે સ્થાનિક વ્યક્તિઓ મારફત તેને આલીપોરની એક હોટલ પર બોલાવી ત્યાં સુરત થી આવેલ અન્ય બે એ વકીલ હોવાની ઓળખઆપી કાયદેસરના કાગળોનું કામ કરવાનું છે. તેમાં કાર્યવાહી પુરી થયા બાદ તને 2.50 લાખ રૂપિયા જેટલી રકમ ચેકથી આપી દઈશું. તેમ જણાવી બીજા દિવસે નવો મોબાઈલ નંબર લેવડાવીચીખલી બેંક ઓફ બરોડામાં લઈ તેની પાસે નવું એકાઉન્ટ ખોલાવી તેમાં નવા મોબાઈલ અને પાસબુક પણ લઈ ગયેલા અને 100 પાનાની ચેકબુકના પણ અંદાજે 15-જેટલા કોરા ચેકો પર સહી કરાવી લીધી હતી અને થોડા દિવસ બાદ બેંક પર બોલાવી ચેક દ્વારા મોટી રકમ ઉપાડી વિમલના થેલામાં રૂપિયા ભરી આ રૂપિયા જેના છે તેને અમે આપી દઇશું. આ પ્રકારે સતત સાત-આઠ દિવસ કરી રૂપિયા ઉપાડી લઈ તેમને વાયદા મુજબ રૂા.2,50,000/- રૂપિયાનો ચેક આપ્યો હતો.પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો.
બાદમાં ફરિયાદી મનોજ ગાયકવાડને પોતે ખેડૂત ન હોવા છતાં કોઈ ખેડૂત ખાતેદારોનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી એક્સપ્રેસ-વે સંપાદિત થતી જમીનના વળતરના નાણાં તેમના ખાતામાં જમા કરાવડાવી કોરો ચેકો ઉપર સહી કરવી લઈ રૂા.2,12,39,039 જેટલી મોટી રકમ જમા કરાવી ઉપાડી લેવામાં આવી હતી.
ઉપરોક્ત 2.12 કરોડ રૂપિયાની રકમ આલીપોરની એક્સપ્રેસ-વે માં સંપાદિત જમીનની વળતર રકમ હોવાનું અને આ જમીનના માલિકો વિદેશ રહેતા હોય તેઓના નામનો ફરિયાદી મનોજ ગાયકવાડના નામે બોગસ પાવર બનાવી બેંકમાં ખાતું ખોલાવી કોરા ચેક પર તેની સહી કરાવી આ રકમ ઉપાડી લેવાઈ હતી.બેંકના સ્ટેટમેન્ટ સહિતના પૂરાવા સાથે લેખિતરજૂઆતનો લાંબો સમય વીતવા છતાં પોલીસ માત્ર ફરિયાદ પક્ષના નિવેદનોથી આગળ વધી શકી નથી.
એક્સપ્રેસ હાઈવેની વળતરની આલીપોર, દેગામ, ખૂંધ, બારોલીયા સહિતના દસેક જેટલા ખેડૂતોની કરોડો રૂપિયાની આ ટોળકી ચાઉં કરી ગઈ હોવાનું કહેવાય છે. અને જેમાં નવસારીની પ્રાંત કચેરીના અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત હોવાની પણ ચર્ચા ખેડૂત આલમમાં ચાલી રહી છે. આ ગંભીર પ્રશ્નો બાબતે ખેડૂતો દ્વારા સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલને પણ અગાઉ ખેડૂતોએ રજૂઆત કરતા તેમણે પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. પરંતુ આ ઉચ્ચ અધિકારીઓ સી.આર.પાટીલની સૂચનાને પણ ધોળીને પી ગયા હોય તેમ લાગે છે.