August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

વિભાજીત આ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ હાલે મોકૂફ રહેવાની શકયતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા હવે તાલુકાની કુલ-69 જેટલી ગ્રામ પંચાયતો થશે. વિભાજીત આ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ હાલે મોકૂફ રહેવાની શકયતા જણાઈ રહી છે.
ચીખલી તાલુકાનું રૂમલા ગામ વિસ્‍તાર અને વસ્‍તીની દૃષ્ટિએ તાલુકાનું સૌથી મોટું ગામ છે અને 2011ની વસ્‍તી ગણતરી મુજબ આ ગામની કુલ વસ્‍તી 10624 જેટલી છે અને ગામમાં મુખ્‍ય નવ ફળીયા સાથે 14-જેટલા વોર્ડો છે.
ગામના વિભાજનની માંગ ઉપડતા હાલે પંચાયત વિભાગ દ્વારા રૂમલા ગામનું વિભાજનનો હુકમ કરવામાં આવતા હવે નવી આંબાપાડા ગ્રામ પંચાયત અમલમાં આવી છે. રૂમલા ગ્રામ પંચાયતમાં હવે 7573 જેટલી વસ્‍તીનો સમાવેશ થશે. જ્‍યારે આંબાપાડા ગામમાં આંબાપાડા, મંગલપાડા અને ચીકારપાડા એમ ત્રણ જેટલા ફળીયાનો સમાવેશ સાથે 3051ની વસ્‍તી રહેશે.
તાલુકાના સિયાદા ગામમાંથી પ્રધાનપાડા નવું ગામ અમલમાં આવશે. સિયાદા ગામની 5245 જેટલી વસ્‍તી પૈકી નવી પ્રધાનપાડા ગ્રામ પંચાયતમાં 2219જેટલી વસ્‍તીનો સમાવેશ કરાયો છે. ત્‍યારે સિયાદા ગામમાં હવેથી 3026 જેટલી વસ્‍તી રહેશે.
સિયાદા ગ્રામ પંચાયતનો પ્રધાનપાડા વિસ્‍તાર ખરેરા નદીથી ભૌગોલિક રીતે વિભાજીત છે અને ચોમાસા દરમ્‍યાન સિયાદા અને પ્રધાનપાડાને જોડતા ખરેરા નદીના ડૂબાઉ કોઝ-વે પર પાણી ફરી વળતા પ્રધાનપાડાના લોકોએ નાના-મોટા કામ માટે 8 થી 10 કિલો મીટરનો ચકરાવો કાપી સિયાદા આવન-જાવન કરવું પડતું હતું. જેથી લાંબા સમયથી પ્રધાનપાડા સ્‍વતંત્ર ગ્રામ પંચાયતની માંગ સ્‍થાનિકો માંથી ઉઠી હતી.
બે નવી આંબાપાડા અને પ્રધાનપાડા ગ્રામ પંચાયત અમલમાં આવતા હવે તાલુકાની કુલ 69-જેટલી ગ્રામ પંચાયતો થવા પામી છે.
રૂમલા સિયાદાના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.જોકે આ ગામોમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા મુરતિયાઓની ગણતરી ખોટી પડવા સાથે નવા સમીકરણો રચાશે. ત્‍યારે હાલે તો મૂરતીયાઓની મનની મન માંજ રહી જવા પામી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી પાંચ-છ માસ બાદ યોજવાની શકયતા જણાઈ રહી છે.

Related posts

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં આઈટી વિદ્યાર્થીઓ માટે ટેક ટેલ્‍ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah

Leave a Comment