-
છેલ્લા એક વર્ષમાં ટાઢ, તડકો, વરસાદ કે તોફાનની પરવાહ કર્યા વગર અનેક વખત લક્ષદ્વીપની મુલાકાત લઈ ફક્ત પાટનગર નહીં પરંતુ વિવિધ દ્વીપો ઉપર પગ મુકી વિકાસની વ્યૂહાત્મક ઓળખ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નવા લક્ષદ્વીપના નિર્માણ માટે ભરેલી હામ
-
ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટમાં રહેતા લોક પ્રતિનિધિઓના બિનજરૂરી હસ્તાક્ષેપને નાબુદ કરી લોક કલ્યાણની યોજનાઓને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલ ઉપર મારેલી મહોરનું મળી રહેલું શ્રેષ્ઠ પરિણામ
કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યાનું આવતી કાલે એક વર્ષપૂર્ણ થઈ રહ્યું છે. એક વર્ષના સમયગાળા દરમિયાન શ્રી પ્રફુલભાઈ પટેલે લોકોના જીવન ધોરણને સુધારવા ભરેલા અનેક પગલાંની હકારાત્મક અસરો પણ દેખાવા માંડી છે. જ્યારે બીજી બાજુ કેટલાક સ્થાપિત હિતોને પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલ સુધારાઓ માફક પણ નથી આવ્યા. પરંતુ ભારત સરકાર મક્કમ હોવાથી અત્યાર સુધી સ્થાપિત હિતોની વાત તેમના સુધીજ મર્યાદિત રહી છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપ, દમણ-દીવ, દાદરા નગર હવેલી તથા અંદામાન-નિકોબાર જેવા ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશોના નવસર્જન માટે પણ પોતાની શક્તિ કામે લગાવી હતી. જેના પરિણામ સ્વરૂપ પ્રારંભમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બાગડોર સોંપી શ્રી પ્રફુલભાઈ પટેલની ક્ષમતાને ચકાસી હતી. પરંતુ સતત વિકાસના કામોમાં વ્યસ્ત રહેતા શ્રી પ્રફુલભાઈ પટેલે કોઈની પણ સાડાબારી રાખ્યા વગર દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસમાં અવરોધતા પરિબળને દુર કરી નવા ભારત સાથે ડગથી ડગ માંડી શકે એવા દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરવા સફળ રહેતા તેમને લક્ષદ્વીપનો પણ વધારાનો હવાલો સુપ્રત કરાયો હતો.
ભૂતકાળમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટમાં સાંસદ, જી.પં.પ્રમુખ, ન.પા.પ્રમુખ જેવા લોક પ્રતિનિધિઓનોબિનજરૂરી હસ્તાક્ષેપ રહેતો હતો. આ લોક પ્રતિનિધિઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પ્રશાસન પાસે પોતાની ઈચ્છા પ્રમાણેના નિર્ણયો લેવડાવવા અને આદેશ બહાર પડાવવા સફળ રહેતા હતા. પોતાને માફક નહી હોય એવા જિલ્લા કલેક્ટર, નાણાં સચિવ, વિકાસ આયુક્ત સી.ઓ.પી., એસ.ડી.પી.ઓ., એસ.પી., એ.આઈ.જી.પી., ડી.આઈ.જી. જેવા ઉચ્ચ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની રાતોરાત બદલી કરાવી શકવા પણ સક્ષમ હતા અને પ્રશાસક જો તેમની ઈચ્છા પ્રમાણે કામ નહી કરે તો તેમને પણ તગેડી મુકવાની શક્તિ લોક પ્રતિનિધિઓ પાસે હતી. જેનો ફાયદો લોકોના કલ્યાણ માટે નહી, પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે કરાતો હતો. આ સ્થિતિ લગભગ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરખી રહી છે.
હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનો પણ હવાલો સુપ્રત કરાતા તેમણે ટાઢ,તડકો કે વરસાદની પરવાહ કર્યા વગર છેલ્લા એક વર્ષમાં અનેક વખત લક્ષદ્વીપની મુલાકાત લીધી છે. લક્ષદ્વીપમાં પણ ફક્ત પાટનગર કવરતી નહી પરંતુ લગભગ તમામ ટાપુઓ ઉપર શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના પગ રાખ્યા છે અને દરેક ટાપુના વ્યૂહાત્મક મહત્વને સમજી તેના વિકાસ માટેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે. જેના કારણે આવતા દિવસોમાંલક્ષદ્વીપ ફક્ત ભારતનું જ નહી પરંતુ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પ્રવાસન મથક બનશે એવો વિશ્વાસ પ્રગટ થઈ રહ્યો છે. લક્ષદ્વીપની થઈ રહેલી કાયાપલટથી પડોશના દેશ માલદીવના પેટમાં પણ તેલ રેડાય રહ્યું છે.
અત્રે યાદ રહે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એવા પહેલા પ્રધાનમંત્રી છે કે જેમને દેશના તમામ રાજ્યના જિલ્લા અને તાલુકા તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મથકથી લઈ ત્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી ગતિવિધિ ઉપર પણ સીધી નજર રહે છે. જેના કારણેજ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના વિકાસના પણ દરવાજા ખુલી શક્યા છે.એકસ્ટ્રા કોમેન્ટ
પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ દમણ-દીવમાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલનો જોરદાર વિરોધ થયો હતો. દમણ-દીવ અને દાદરા નગર હવેલીના તે સમયના સાંસદો પણ વિરોધમાં જોડાયા હતા. કેટલાક સ્થાપિત હિતોએ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને ગુજરાત કે મહારાષ્ટ્રની સાથે જોડવાની વાતો પણ વહેતી મુકી હતી. પરંતુ આજે પ્રદેશમાં જે પ્રવાસીઓની ભીડ જામી રહી છે, એન્જિનીયરીંગ, મેડિકલ, નર્સિંગ જેવી વ્યવસાયિક કોલેજોના દ્વાર ખુલ્યા છે તે માત્ર અને માત્ર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રદેશ પ્રત્યેની કૃપાદૃષ્ટિનેજ ફાળે જાય છે. આ વાત હવેધીરે ધીરે બહુમતી લોકોને પણ સમજાય રહી છે.