રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ રસ્તાઓનું લોકાર્પણ તેમજ રૂ.૩.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ ૪૨ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન
વલસાડઃ તા.૨૯: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલના પટાગણમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવા માટેનો સમારંભ સાંસદ ડો.કે.સી.પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ ડો.કે.સી.પટેલ સહિત મહાનુભવોના હસ્તે વ્યક્તિગત આવાસ સહાય, માનવ ગરિમા યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરુ, આદિમજુથ આવાસ, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ મંજૂરીપત્રો, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ પેન્શન યોજના, બૌધ્ધિક અસમર્થતા પેન્શન, દિવ્યાંગ સાધન સહાય, હળપતિ ગૃહ નિર્માણ વગેરે યોજનાના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડ કરતાં વધુ રકમની સહાયનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત નાનાપોંઢાથી જામગભાણ જતા રસ્તાથી જીરવલ કુહરૂલપાડાથી જીરવલ ચવરા ફળિયા તરફ જતો રસ્તો રૂ. ૪૫ લાખ, કાકડકોપર બારી ફળિયાથી બોરીપાડા સુખાલા હટવાડાને જોડતો રસ્તો રૂ.૫૦ લાખ અને જાગીરી મુખ્ય રસ્તાથી શીવ ફળિયા જતો રસ્તો રૂ.૨૫ લાખ મળી કુલ રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ રસ્તાઓનું લોકાર્પણ તેમજ વિવિધ ગામોમાં રૂ.૩.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ, રસ્તા તેમજ ચેકડેમ કમ કોઝ વેના કુલ ૪૨ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ અવસરે સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ અટલબિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી નિમિત્તે વિવધ યોજનાકીય સહાયનું વિતરણ કરવાની સાથે અને અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. પ્રજાલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ થકી ગરીબો સુધી યોજનાકીય સહાયની પુરેપુરી રકમ સમયસર પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. કોરોના મહામારીમાં દેશના સમૃદ્ધ દેશો ન કરી શકયા તે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની જનતાને કોરોના મહામારી સામે રક્ષણ આપવા વિનામૂલ્યે રસીકરણ કરાવ્યું છે, એટલું જ નહીં કોઇ ગરીબ ભૂખ્યો ન રહે તે માટે વિનામૂલ્યે અનાજ પણ પૂરું પાડયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદો માટે આવસોનું નિર્માણ કરી રહેવા માટે ઘર આપ્યું છે
આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર તેમજ મહુવા ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી.
પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં સુશાસન દિવસની ફિલ્મનું નિદર્શન કરાયું હતું. કન્યા સાક્ષરતા નિવાસી શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉન્નતિ દેસાઈ અને ભરતભાઇ પટેલે કર્યું હતું.
આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર બી.આર.વળવીએ આભારવિધિ આટોપી હતી.
આ સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ધવલભાઈ આર. પટેલ, તાલુકા પંચાયત ધરમપુરના પ્રમુખ રમીલાબેન એસ. ગામીત, તાલુકા પંચાયત કપરાડા પ્રમુખ, મોહનભાઈ ડી. ગરેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન આર. પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કમલેશસિંહ સી. ઠાકોર, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વી. ધાંગડા, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા સહિત લાભાર્થીઓ અને નગરજનો હાજર રહયા હતા.