વલસાડઃ ૩૧: ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ, દ્વારા દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧ ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યકિતઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ અરજી કરી શકશે. આ કેટેગરીઓની અરજીઓનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તથા જિલ્લા રોજગાર કચેરી, વલસાડ ખાતેથી વિના મૂલ્યે તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત આ કચેરીને તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. આ અંગે જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નગરપાલિકા સભાગૃહ, પહેલો માળ, સ્ટેડિયમ રોડ, વલસાડ અથવા નગર રોજગાર કચેરી ધરમપુરનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.