સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્ટિક આહાર આપવાની કરેલી આગવી વ્યવસ્થા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાની અને શિક્ષણલક્ષી વાતાવરણ તૈયાર કરવાની કડીમાં દાદરા નગર હવેલી ખાતે કુલ 97 નવી આંગણવાડીના મકાનના નિર્માણનું કામ પ્રગતિ ઉપર છે. સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા બદલી તમામનેનંદઘરમાં રૂપાંતરિત કરવાની શરૂ કરેલી યોજનામાં નાના બાળકોનું વર્ગખંડમાં પ્રથમ પગથિયું આનંદ-કિલ્લોલ સાથે ગમ્મત દ્વારા જ્ઞાન મળે અને પૌષ્ટિક આહાર પણ મળે તેવી શરૂ કરેલી વ્યવસ્થાની ખુબ જ સુંદર અસર પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલીમાં નંદઘર સપાટ જમીન ઉપર રૂા.25 લાખ અને ખાડા-ટેકરાવાળી જગ્યામાં રૂા.35 લાખના અંદાજીત ખર્ચથી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ નંદઘરોના કારણે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર દૂધની, સિંદોની, કૌંચા સહિતના ગામના બાળકોને ઘણો ફાયદો થશે. આ આંગણવાડીનું નિર્માણકાર્ય પ્રદેશમાં કાર્યરત વિવિધ ઈન્ડસ્ટ્રીઝોના કોમ્યુનિટી સોશિયલ રિસ્પોન્સિબ્લિટી(સી.એસ.આર.) હેઠળ બનાવવામાં આવનાર હોવાની પણ જાણકારી મળી છે.