-
દીવના બંદર ચોક ખાતે ભાડાના મકાનમાં કાર્યરત પોસ્ટ ઓફિસની જગ્યા અનુકૂળ નહી હોવાથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની દીવ મુલાકાત દરમિયાન કરેલી જાહેરાતનું પરિણામ
-
ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પણ આરંભ થવાની સંભાવના : સ્થાનિકોને રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.03
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નવા વર્ષમાં દીવની જનતાને નવી ભેટ આપવામાં આવી છે. પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા લેવાયેલા નિર્ણયના પરિણામે આજે ગાંધીપરા ખાતે ફાળવેલ સરકારી જગ્યામાં દીવ પોસ્ટ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દીવમાં બંદર ચૌક ખાતે આ પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત હતી અને એવું જાણવા મળે છે કે જે રૂમમાં આ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી તેની હાલની સ્થિતિ યોગ્ય નહોતી. ચોમાસામાં તેની છત ઉપરથી પાણી પડતુ હતું. આ ઈમારતને પણ તોફાનદરમિયાન ખરાબ રીતે નુકસાન થયું હતું. આ પોસ્ટ ઓફિસ પહેલા માળે આવેલી હોવાને કારણે શારિરીક રીતે અશક્ત લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બિલ્ડીંગની હાલત અને દીવની સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહી પડે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન ગાંધીપરા ખાતે આવેલ સરકારી જગ્યા દીવ પોસ્ટ ઓફિસ માટે ફાળવવાનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા લેવાયેલ નિર્ણયના પરિણામે દીવના ગોધીપરાના સરકારી પરિસરમાં આજે દીવ પોસ્ટ ઓફિસનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની દીવની જનતા માટે નવા વર્ષની નવી ભેટ છે.
ઉદ્ધાટન સાથે આ પોસ્ટ ઓફિસ ગાંધીપરામાં કોર્ટ બિલ્ડીંગ સામે અને વીજ કચેરી પાસે કાર્યરત થઈ ગઈ.આ પોસ્ટ ઓફિસમાં, પોસ્ટલ સેવા, પોસ્ટ સેવિંગ બેંક, આધાર નોંધણી, પોસ્ટ પેમેન્ટ બેંક વગેરે જેવી પોસ્ટ સંબંધિત તમામ પ્રકારની સેવાઓ સામાન્ય લોકોને પહેલાની જેમ સરળતાથી પૂરી પાડવામાં આવશે. ટૂંક સમયમાં આ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા પણ શરૂ કરવામાં આવશે. હાલમાં દીવના લોકોને પાસપોર્ટની સેવા માટે વેરાવળ જવું પડે છે. પ્રશાસકશ્રીના પ્રયાસોથી ટૂંક સમયમાંદીવની જનતાને તેમાંથી મુક્તિ મળશે.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને આમ લોકો ઉપસ્થિત રહ્યા હતા.