પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા હાઈસિક્યોરીટીમાં છેદ કર્યા હોવાનો ભાજપનો આક્ષેપ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07
વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ ફિરોજપુર જાહેર કાર્યક્રમમાં જતા સર્જાયેલ હાઈસિક્યોરીટીના છેદની ઘટનાના પ્રત્યાઘાત અને વિરોધ માટે સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા અને પદાધિકારીઓ દ્વારા ગુરુવારે સાંજના વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે પંજાબની ઘટનાને વખોડવા અને વિરોધ કરવા માટે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વડાપ્રધાનના કાફલાને 20 મિનિટ સુધી ગોંધી રાખવા જેવી સ્થિતિના નિર્માણ માટે પંજાબ કોંગ્રેસ જવાબદાર છે તેવા આક્ષેપો જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પુતળા દહન કરવા જતા પોલીસે કાર્યકરોને રોકી રાખ્યા હતા. બાદમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરીને જિલ્લા ભાજપ પરિવારે પંજાબ કોંગ્રેસ સરકારની કામગીરીને વખોડી કાઢી યોગ્ય પગલા ભરવાની ઉગ્ર માંગણી કરી હતી.